પાનોલી જીઆઇડીસીની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

કંપનીના પ્લાન્ટમાં ૧૦થી વધુ કામદારો ફસાયા ઃ ત્રણ દાઝી જતા સારવાર માટે ખસેડાયા

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
પાનોલી જીઆઇડીસીની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી 1 - image

તા.૨૩ પાનોલી જીઆઈડીસીમાં આવેલી આર.એસ.પી.એલ. કંપનીમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે સાત કિમી દૂર કાળા ધુમાડાઓ નજરે પડયા હતા.

પાનોલી જીઆઈડીસીમાં વેસ્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી આર.એસ.પી.એલ. કંપનીના એક પ્લાન્ટમાં આજે સાંજે એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગેની જાણ પાનોલી સહિત અંકલેશ્વરના ફાયર બ્રિગેડને કરાતા દશથી બાર જેટલા ફાયર ટેન્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. 

કંપનીના જે પ્લાન્ટમાં આગ લાગી હતી ત્યાં ફાયર ટેન્કરો પહોંચી શકે તેવી વ્યવસ્થાના અભાવને પગલે ફાયર ફાયટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી તેમજ આગ ઓલવવામાં પણ વિલંબ જોવા મળ્યો હતો. ફાયર ફાયટરોને આજુબાજુની કંપનીઓમાંથી પાણીનો છંટકાવ કરવાની ફરજ પડી હતી. આગ કેવી રીતે લાગી તેનુ ચોક્કસ કારણ  જાણવા મળ્યુ ન હતું.  આગના બનાવમાં કોઈ જાનહાની કે ઇજા પહોંચી હોવાની પણ કોઈ વિગતો સાંપડી નથી. બિનસત્તાવાર વિગતો મુજબ ૧૦થી વધુ કામદારો પ્લાન્ટમાં ફસાયા હતા જે પૈકી ત્રણ જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતાં.

બનાવની જાણ થતા પ્રાંત અધિકારી, મામલતદાર, જીપીસીબી, પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગની ઘટનાને બે કલાક જેટલો સમય વીત્યો છતાં આગ ઉપર કાબૂ મેળવી શકાયો ન હતો.




Google NewsGoogle News