ફાઇન આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીનું કરજણ ડેમ પાસે ડૂબી જતા મોત
ભાવનગર જિલ્લાના ગઢડા ખાતેનો મૂળ વતની વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સાથે અભ્યાસ પ્રવાસે ગયો હતો
રાજપીપળા તા.૩૦ રાજપીપળા નજીક જૂનારાજ ગામે અભ્યાસ પ્રવાસ માટે આવેલા મૂળ ભાવનગર જિલ્લાના ગઢડા ખાતેના વતની અને વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાની એમ.એસ.યુનિવસટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીના ૩૦ જેટલા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો નર્મદા જિલ્લાના અભ્યાસ પ્રવાસે આવ્યા હતાં. રાજપીપળા નજીક જૂનારાજ ગામે કરજણ ડેમ પાસે ફરીને જૂનારાજ ગામમાં ગયા હતા જ્યાં કેટલાંક વિદ્યાર્થીઓ બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ કરજણ ડેમમાં જુનારાજ ગામ પાસેના મહાદેવ મંદિર પાસે ભરાયેલા પાણીમાં નાહવા માટે પડયા હતાં.
આ વખતે ૨૦ વર્ષનો જય જીતેન્દ્રભાઇ ગાંગડીયા (રહે.જૈન વાડી શેરી નં.૧, મેઇન રોડ, ઢસા જંકશન, તા.ગઢડા, જિલ્લો ભાવનગર)નું પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યું હતું. વિદ્યાર્થીના મોતના પગલે સાથી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોમાં શોકની લાગણી જોવા મળી હતી. આ બનાવ અંગે એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી મૂળ સુરતની વિદ્યાર્થિની કેશ્વી પ્રણવ પટેલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.