જી.આઇ.ડી.સી. નજીકની સોસાયટીમાં નજીવી બાબતે મારામારી
લાકડીથી હુમલો કરતા એકને ઇજા : બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી
વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી. વિસ્તારની હરિનગર સોસાયટીમાં નજીવી બાબતે બે પરિવાર વચ્ચે મારામારી થતા મામલો માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
મકરપુરા જી.આઇ.ડી.સી. રોડની હરિનગર સોસાયટીમાં રહેતા શનાભાઇ હિમાભાઇ રાઠવા કડિયા કામ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૧૮ મી એ હું મારા ઘરે હતો. તે દરમિયાન રાતે નવ વાગ્યે અમારા ઘરની બહાર ખુરશી મૂકી અમે બેઠા હતા. મારી પત્ની વરજુબેન તથા મારી પુત્રી ગીતાબેન અને સોસાયટીમાં રહેતા સુખીબેન સોસાયટીમાં મૂકેલા બાકડા પર બેઠા હતા. તે સમયે અમારી સોસાયટીમાં રહેતા આરતીબેન પંચાલ ઘરની બહાર આવીને બોલવા લાગ્યા હતા કે, મારા ઘરની સામે બેસવાનું નહીં. તેઓ ગાળો બોલવા લાગ્યા હતા. અમારી સોસાયટીમાં રહેતા સુરેખાબેન રાઠવા પણ ત્યાં આવી ગયા હતા. આરતીબેનના પતિ દિપુ પંચાલે લાકડી વડે મારા પર હુમલો કર્યો હતો.
જ્યારે સામા પક્ષે આરતીબેન પંચાલે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું અને મારા પતિ રાતે જમીને ચાલવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન બાકડા પર બેસેલા વરજુબેન, સુખીબેન તથા સુરેખાબેન કહેવા લાગ્યા હતા કે, અમે તમને અહીંયા રહેવા દઇએ નહીં. તેઓ મને માર મારવા લાગ્યા હતા.