પ્રેમ સંબંધની શંકા રાખી મહિલાઓ વચ્ચે મારામારી
બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી
વડોદરા,વાઘોડિયા રોડ પર પ્રેમ સંબંધની શંકા રાખી મહિલાઓ વચ્ચે મારામારી થતા બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.
બાપોદ જકાતનાકા સમર્પણ પાર્ક સોસાયટીની સામે રહેતા રેખાબેન નરેન્દ્રભાઇ દોહરેએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨૧મી એ રાતે સાડા અગિયાર વાગ્યે મારો દીકરો હર્ષ ઘરેથી કોઇને કહ્યા વિના જતો રહ્યો હતો. તે ફોન પણ લેતો નહતો. બીજે દિવસે સાંજે હું મારા દીકરાની પ્રેમિકાના ઘરે કહેવા ગઇ હતી કે, તું મારા દીકરા સાથે પ્રેમ સંબંધ ના રાખીશ. તે દરમિયાન મારા દીકરાની પ્રેમિકા તથા તેના સગાઓએ મારા પર હુમલો કરી પથ્થરથી માર માર્યો હતો.
જ્યારે સામા પક્ષે રેખાબેન સામે ફરિયાદ નોંધાવી મહિલાએ જણાવ્યું છે કે, રેખાબેને મારા ઘરે આવી ઝઘડો કરી ગાળો બોલી માર માર્યો હતો. પાણીગેટ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.