વડોદરામાં કેટલ એક્ટનો અમલ જારી : કોર્પોરેશન દ્વારા વધુ 6 ઢોરવાડાને નોટિસ
image : Freepik
વડોદરા,તા.26 ઓક્ટોબર 2023,ગુરૂવાર
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારના 12 ઢોરવાડાને નોટિસ આપ્યા બાદ આજે વડોદરા કોર્પોરેશનએ ન્યુ વીઆઇપી રોડ ખોડીયાર નગર પાસે આવેલા પાંચ થી છ ઢોરવાડાના સંચાલકોને નોટિસ આપી છે. સાથે સાથે શહેરમાં વિવિધ વિસ્તારોમાં વેચાતા ઘાસના પથારાવાળાઓને પણ હટાવવાની કામગીરી ચાલુ રાખી છે.
વડોદરા શહેરમાં ચારે બાજુએ રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે રાહદારીઓ અને વાહન ચાલકો પણ રસ્તે રખડતા ઢોર થી ત્રાસી ગયા છે. હાઈકોર્ટ દ્વારા પણ ચુકાદો આપવામાં આવ્યો છે કે રખડતા ઢોર મુદ્દે હવે માલિકો સામે ચાર્જ ફ્રેમ કરવા બાબતે કડક વલણ અપનાવ્યું છે ત્યારે શહેરના વધુ પાંચ થી છ ઢોરવાડા સંચાલકોને પાલિકા તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ચારે બાજુએ જાહેર રસ્તા સહિત આંતરિક રસ્તાઓ પર રખડતી ગાયોના ત્રાસથી વાહન ચાલકો સહિત રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ દાદારીઓને ઢોર શિંગડે ચડાવે એની બીક લાગે છે.
આવા રોજિંદા બનાવો સર્જાતા આ બાબતે હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે છતાં ગૌ પાલકોના પેટનું પાણી હાલતું નથી. ગઈકાલે 15 થી 16 જેટલા ઢોરવાડા સંચાલક ગૌપાલકોને નોટીશો ફટકારવા સહિત ઘાસનો જંગી જથ્થો જપ્ત કરી લીધો છે.
છતાં પણ લોકોના પેટનું પાણી હાલતું નથી. પાલિકા તંત્ર દ્વારા વોર્ડ નંબર 5 અને 6 માં પ્યાર નગર પાચા પુરા વિસ્તારમાં આવેલા પાંચ થી છ ઢોરવાડા સંચાલક ગૌપાલકોને તંત્ર દ્વારા આજે નોટિસ ફટકારવામાં આવી છે. છતાં પણ જો કોઈ કાર્યવાહી ગૌ પાલકો દ્વારા કરવામાં નહીં આવે તો પાલિકા તંત્ર આગળની કાર્યવાહી કરતા અચકાશે નહીં.