અંકલેશ્વરના સારંગપુરમાં પ્રેમીએ પરિણીત પ્રેમિકા અને તેના જૂના પ્રેમીની ચપ્પુના ઘા મારી હત્યા કરી

વહેલી સવારે હત્યા બાદ ઘર બંધ કરીને પ્રેમી ભટક્યો અને સાંજે જાતે જ પોલીસમાં જઇને કબૂલાત કરતાં પોલીસ દોડતી થઇ

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
અંકલેશ્વરના  સારંગપુરમાં પ્રેમીએ પરિણીત પ્રેમિકા અને તેના જૂના પ્રેમીની ચપ્પુના ઘા મારી હત્યા કરી 1 - image

અંકલેશ્વર તા.૨૪ અંકલેશ્વરના સારંગપુર ગામમાં નવા પ્રેમીએ પોતાની પ્રેમિકા અને તેના જૂના પ્રેમીની હત્યા કરી બાદમાં જાતે જ પોલીસ મથકે હાજર થઇ હત્યાની કબુલાત કરી હતી.

અંકલેશ્વરના સારંગપુર ગામમાં ડબલ મર્ડરની સવારની ચોંકાવનારી ઘટનાનો ઘટસ્ફોટ મોડી સાંજે ત્યારે થયો જયારે હત્યારા પ્રેમીએ જાતે જ પોલીસ મથકે હાજર થઇ પોલીસને પોતે પ્રેમિકા અને તેણીના જૂના પ્રેમીની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. હત્યારા યુવકે વહેલી સવારે ઠંડા કલેજે પોતાની પ્રેમિકા અને તેણીના જૂના પ્રેમીની હત્યા કર્યા બાદ દિવસ દરમિયાન અસમંજસની મનોસ્થિતિમાં અહીં તહીં ભટકી એક તબક્કે આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો જોકે બાદમાં તે અંકલેશ્વર સીટી પોલીસ મથકે હાજર થયો હતો. 

જો કે પાછળથી આ ગુનો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં બન્યો હોય તેને જીઆઈડીસી પોલીસ મથકને સોંપી દેવાયો હતો ત્યારબાદ જીઆઈડીસી પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. સનસનાટીભરી હત્યાની આ ઘટના અંગે હજુ પોલીસે કોઈ ફોડ પાડયો નહોતો પરંતુ મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર તાલુકાના આંબોલી ગામની મુળ રહીશ પરિણીત યુવતી પોતાના પતિથી અલગ સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં હત્યારા રોહન વસાવા સાથે લિવઈન રિલેશનમાં રહેતી હતી.

તેને બે નાના બાળકો પણ હતા. તેના રોહન ઉપરાંત રોહનના જ મિત્ર રિતેશ વસાવા સાથે પણ સંબંધો હતા.ગત રાત્રે રિતેશ રાત્રીના સમયે તેણીના ઘરમાં જ રોકાયો હતો. રાત્રે હત્યારો રોહન તેના ઘરે આવ્યો પણ તેણે દરવાજો ખોલ્યો નહોતો. આથી તે ઘરની બહાર બેસી રહ્યો હતો. વહેલી પરોઢે દરવાજો ખોલ્યો કે તરત રોહન ઘરમાં ઘુસી ગયો અને પ્રેમિકા અને પોતાના મિત્ર રિતેશની ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરી દરવાજો બંધ કરી ભાગી ગયો હતો.

આ લખાય છે ત્યારે જીઆઈડીસી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે એફ.એસ.એલ. સહિતની ટીમ સાથે તપાસ કરી રહ્યો હતો. જોકે હાલ પોલીસે આ ઘટના અંગે કંઈ પણ ઘટસ્ફોટ કર્યો નહોતો.




Google NewsGoogle News