વડોદરામાં આજે સાંજે દિવ્યાંગ ગરબા મહોત્સવ : 4000 થી વધુ દિવ્યાંગ ખેલૈયાઓ ગરબા રમશે
- કચ્છ, સુરત, અમદાવાદ, ભાવનગર, રાજકોટના દિવ્યાંગો સહિત 4000 થી વધુ દિવ્યાંગ ખેલૈયાઓ ગરબા રમશે
વડોદરા,તા.26 ઓક્ટોબર 2023,ગુરૂવાર
નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ બાદ વડોદરામાં આજે દિવ્યાંગ ગરબા મહોત્સવ યોજાશે. સાંજે 7:30 થી રાત્રિના 10:30 સુધી સુભાનપુરા વિસ્તારમાં શિશુ ગરબા ગ્રાઉન્ડ, ઝાંસીની રાણી મેદાન ખાતે દિવ્યાંગ ગરબા મહોત્સવમાં આશરે 4000 થી વધુ દિવ્યાંગ ખેલૈયા ગરબાની રમઝટ બોલાવશે. કચ્છ, સુરત, અમદાવાદ, ભાવનગર, રાજકોટ તેમજ વડોદરા જિલ્લાના અને સ્થાનિક દિવ્યાંગ ખેલૈયા આ ગરબા મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લેવાના છે. ગુજરાતમાં છેલ્લા 24 વર્ષથી આટલી મોટી સંખ્યામાં માત્ર દિવ્યાંગો માટેનો ગરબા મહોત્સવ ક્યાંય યોજાતો નથી તેમ ગરબા આયોજક શ્રી સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટનું કહેવું છે. દર વર્ષે દશેરાના બીજા દિવસે આ ગરબાનું આયોજન કરવામાં આવે છે.