વડોદરામાં જર્જરિત મકાન એકાએક ધરાશાયી થતા દોડધામ

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
વડોદરામાં જર્જરિત મકાન એકાએક ધરાશાયી થતા દોડધામ 1 - image

image : Freepik

વડોદરા,તા.2 ઓક્ટોબર 2023,સોમવાર

વડોદરાના બરાનપુરા વિસ્તારમાં નૂતન બેંક પાસે આવેલું જુનુ બાંધકામ ધરાવતું જર્જરીત મકાન એકાએક ધરાશાયી થઈ ગયું હતું. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી હતી. જોકે સદનસીબે મકાનમાં ભાડુઆત તરીકે રહેતા લોકોને કોઈ જાનહાની નહીં થતા તંત્રને હાસકારો થયો હતો.

શહેરના સીટી વિસ્તારમાં હજુ પણ ઘણા જુના મકાનો હયાતમાં છે. જોકે આ મકાનો વર્ષો પહેલા બનાવવામાં આવ્યા હોવાથી હાલમાં સંપૂર્ણ રીતે જર્જરીત થઈ ગયા છે. ક્યારે પણ તે મકાન ધરાશાયી થાય તેવી ભીતિ સિવાય રહી છે. ત્યારે આવું જ એક મકાન બરાનપુરા વિસ્તારની નૂતન બેંક પાસે આવેલું હતું. જે મકાન વર્ષો જૂનું હોવાથી તેનો કેટલોક ભાગ જર્જરીત થઈ ગયો છે. તેમ છતા માલિક સંજયભાઈ જયસ્વાલ દ્વારા આ મકાન ભાડે રહેવા માટે આપ્યું હતું જેમાં નીચે બે ભાડુઆતો ગીતાબેન ઠાકોર તથા હર્ષાબેન ઠાકોર તેમના પરિવાર સાથે રહેતા હતા. દરમિયાન રવિવારે રાત્રિના 11 વાગ્યાના અરસામાં એકાએક મકાન ધરાશાયી થઈ ગયું હતું. જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી ગયા હતા અને હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

જોકે સદનસીબે મકાનમાં રહેતા ભાડુઆતોને કોઈ હાની પહોંચી ન હોવાનું જાણવા મળ્યું હતું.


Google NewsGoogle News