પ્રોહિબીશનના કેસમાં સંડોવાયેલા એક આરોપીની પાસા અન્યને નહીં
અન્ય આરોપીઓ સામે પાસાનો ફિટ કેસ નહી હોવાથી પાસા કરી નથી : પોલીસ
વડોદરા.વાડી પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ત્રણ ગુનામાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જોકે, આ કેસમાં સામેલ અને અગાઉ દારૃની પ્રવૃત્તિમાં પકડાયેલા આરોપીને પાસા કરવામાં નહીં આવતા વાડી પોલીસની કામગીરી અંગે ચર્ચા થઇ રહી છે.
વાડી પોલીસે ગત તા.૨ જી ઓગસ્ટે બાવરી કુંભારવાડા પાસેથી વિદેશી દારૃની ૧૭૩ બોટલ કિંમત રૃપિયા ૩૧,૩૦૦ ની સાથે આરોપી સૂરજ સોલંકીને ઝડપી પાડયો હતો. જ્યારે સંજુ દિલ્લી અને મોરે નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ગત તા.૧૬ મી જુલાઇએ વાડી પોલીસે ગાજરાવાડી હનુમાન ટેકરી પાસેથી દારૃની ૧૧૯ બોટલ કબજે કરી આરોપી રવિ કનોજીયાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ગત તા. ૨૬ મી જૂને ડભોઇ રોડ જયનારાયણ નગરમાં રહેતા પ્રતિક પાટણવાડિયાને વિદેશી દારૃની ૩૦૪ બોટલ તથા બિયરના ૨૧૬ ટીન સાથે ઝડપી લીધો હતો. જે કેસમાં તે સમયે આતિશ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યો હતો.
આ ત્રણેય કેસમાં તપાસ દરમિયાન પોલીસે કરણ ગુલાભાઇ રાઠવા ( રહે. પટેલ ફળિયા, છોટાઉદેપુર) ને ઝડપી લીધો હતો. અને તેની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે.
આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પાસા કરવામાં આવી નથી. આ અંગે વાડી પી.આઇ.એ.બી.મોરીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, એક કેસમાં પાણીગેટ પોલીસને પાસાની કાર્યવાહી કરવાની હતી. જ્યારે અમારા પોલીસ સ્ટેશનમાં અન્ય આરોપીને પાસામંા મોકલવા માટે ફિટ કેસ નહતો એટલે કરી નહીં હોય . ક્યાં પછી કોર્ટનો સ્ટે હશે એટલે અમે પાસા કરી નથી.