શિયાળાનો પ્રારંભ છતાં શહેરમાં યાયાવર પક્ષીઓનો પડાવ નહીં

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
શિયાળાનો પ્રારંભ છતાં શહેરમાં યાયાવર પક્ષીઓનો પડાવ નહીં 1 - image


કડીના થોળ સહિતના તળાવોમાં વિદેશી પક્ષીઓનો મુકામ પણ

લવારપુર સહિત અન્ય ગામોના તળાવ પક્ષીઓ વગર સુમસામ વેટલેન્ડના અભાવે ફ્લેમીંગો હજુ પાટનગરના મહેમાન બન્યા નથી

ગાંધીનગર :  આ વખતે ચોમાસામાં વરસાદ પડવાથી શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારના તળાવો તો ભરાઈ ગયા છે પરંતુ ડિસેમ્બર માસ અડધો થઇ ગયો અને ઠંડી પણ શરૃ થઇ ગઇ તેમ છતા ગાંધીનગરમાં દરવર્ષે આવતા વિદેશી ખુદાબક્ષ યાયાવર પક્ષીઓ જોવા મળતા નથી. ગાંધીનગરમાં દર વર્ષે ઘ-૦નું તળાવ અને લવારપુરનું તળાવ યાયાવર પક્ષીઓનું મુકામ ગણવામાં આવતું હતું પરંતુ આવખતે ઠંડી ઘટવાના કારણે ફ્લેમીંગો પક્ષી હજુ સુધી પાટનગરના મહેમાન બન્યા નથી.

ગાંધીનગરમાં દર વર્ષે દિવાળીના સમયે 'વેગ ટેઇલ' નામના પંખીઓ સૌથી પહેલાં આવી પહોંચે છે દરવર્ષે દિવાળી ઘોડો', 'યલો વેગટેઇલ', કાશમીરી થરથરો જેવા પક્ષીઓ પાટનગરના ઝાડી ઝાંખરાવાળા વિસ્તારમાં આવી જાય છે પરંતુ આ વખતે ડિસેમ્બર માસ અડધો થઇ ગયો હોવા છતા યાયાવર પક્ષીઓ શહેરના આકાશ પરથી પસાર થતા કે ગાંધીનગર જિલ્લાના તળાવકાંઠે બેઠેલા જોવા મળતા નથી. આ અંગે પક્ષીવિધ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, શિયાળાની શરૃઆત ભલે વહેલી શરુ થઇ પરંતુ શરુઆતમાં જોઇએ તેવી ઠંડી પડી ન હતી. વાતાવરણમાં ફેરફારની સાથે પક્ષીઓની વર્તણૂંકમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમાં પણ દેશ-વિદેશમાંથી સ્થળાંતર કરીને આવતા યાયાવર પક્ષીઓ તેમજ સ્થાનિક સ્થળાંતર કરતાં અન્ય પક્ષીઓની સંખ્યા ગાંધીનગરમાં આ વખતે દર વર્ષ કરતાં ઓછી જોવા મળી રહી છે.

આ વખતે યાયાવર પક્ષીઓની ઓછી સંખ્યા અંગે પર્યાવરણના જાણકારો માની રહ્યાં છે કે,આ વખતે મુંબઈ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભરપુર વરસાદ થવાથી અને ત્યાં ઠંડી શરૃ થઈ જવાથી પક્ષીઓએ સૌરાષ્ટ્રમાં મુકામ બનાવી દીધું છે.ત્યાં તેમને ખોરાક મળવાની સાથે સુરક્ષીત વાતાવરણ પણ મળી રહ્યું છે. આ વખતે ગાંધીનગર તરફ ફ્લેમીંગો પક્ષીઓ પણ દેખાયા નથી જ્યારે કડીના થોળ સરોવર પાસે અત્યારે વિદેશી પક્ષીઓનો મેળાવડો જામ્યો છે તેમ કહી શકાય.

યાયાવર પક્ષીને આકર્ષવા કુદરતી વેટલેન્ડને સુરક્ષીત કરવું જરૃરી

વિદેશી તેમજ અન્ય આંતરિક પ્રાંતોમાંથી વિહાર કરતા પક્ષીઓ સૌરાષ્ટ્ર તરફ વળી ગયા છે ત્યારે આ વિસ્તારમાં તેમને પુરતો ખોરાક અને અનુકૂળ વાતાવરણ મળી રહેવાથી તેઓ ગાંધીનગર તરફ કુચ કરતા નથી. ત્યારે આ વખતે ગાંધીનગરમાં યાયાવર પક્ષીઓની ઓછી સંખ્યાથી વનવિભાગે શીખ લઈ તેમને આકર્ષવા માટે ખાસ યોજના ઘડવી જોઈએ તેવું પણ આ નિષ્ણાંતો માની રહ્યાં છે. તેમના મતે હજુ સુધી ફ્લેમીંગો પક્ષી ગાંધીનગરના મહેમાન બન્યા નથી પરંતુ આવનારા દિવસોમાં યુરોપીયન દેશોમાંથી સ્થળાંતર કરતા પક્ષીઓ ગાંધીનગર થઇને પસાર થશે તેમ પણ નિષ્ણાંતોનું માનવુ છે ત્યારે સારા-સુરક્ષિત તથા તેઓ માળો બાંધી શકે,પ્રજનન કરી શકે તેવા કુદરતી વેટલેન્ડ હોય તો પક્ષીઓ વિહાર કરતા અહીં પણ રોકાઇ શકે છે. તેથી વનવિભાગે વેટલેન્ડ તૈયાર કરવા જોઇએ.


Google NewsGoogle News