બગસરાના આચાર્યના આપઘાત કેસમાં આરોપીઓ સામે સખત પગલ લેવા માંગ
ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા આવેદનપત્ર અપાયું
સત્વરે ન્યાય આપવામાં આવે, પરિવારને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી
નડિયાદ: તાજેતરમાં બગસરા તાલુકાના જુના ઝાઝરીયા ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ સતત જાતિવાદ ત્રાસના કારણે આપઘાત કર્યો હતો. આ આચાર્યના આત્મઘાતી પ્રકરણમાં દુષ્પ્રેરણ કરનાર તમામ સામે સખત કાર્યવાહી કરવાની માગણી સાથેનું ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ દિનેશભાઇ વાઘેલા, ભાવિનભાઇ મકવાણા સહિત શિક્ષકોએ કલેકટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના ઝાંઝરિયા પ્રાથમિક શાળાના આચાર્ય કાંતિભાઈ ચૌહાણએ ગત ૨૦મી ઓક્ટો. ના રોજ આપધાત કરેલ છે. જાતિવાદી માનસિકતા ધરાવતા આરોપીઓના ત્રાસથી પિડીત અનુસુચિત જાતિના શિક્ષક આપઘાત કરવા મજબૂર બન્યા હોવાની આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આપઘાત કરવા મજબૂર કરનારાઓને સખત સજા કરવા ઉપરાંત આપઘાતથી મૃત્યુ પામેલા શિક્ષકના પરિવારને સંપૂર્ણ કાનૂની પોલીસ રક્ષણ આપવા, આપઘાતથી મૃત્યુ પામેલા શિક્ષકના પરિવારને કાનુની રીતે મળવાપાત્ર મહત્તમ આર્થિક સહાય સહ વળતર ચુકવવા માગણી કરી છે .
આ ઉપરાંત આ ચુકવવામાં આવતી આર્થિક સહાય સહ વળતર આરોપીઓ પાસેથી વસૂલ કરવા, આપઘાત કરવા પ્રેરિત કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કરવા, ગુજરાતની તમામ સરકારી કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસુચિત જાતિ અને અનુ.જનજાતિના શિક્ષકો પર કોઈપણ પ્રકારના જાતિવાદી શાબ્દિક કે શારીરિક હુમલા ન થાય તે માટે તમામ પ્રકારના પગલાં ભરી રક્ષણ આપવા શિક્ષક સંઘે માંગણી કરી છે.