વડોદરામાં તા.29 મીએ જાહેર રજા હોવા છતાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
વડોદરામાં તા.29 મીએ જાહેર રજા હોવા છતાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે 1 - image


- તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ગરવી વેબ એપ્લિકેશન મારફતે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવેલ હોય તે જ દસ્તાવેજની નોંધણીની કાર્યવાહી થશે

વડોદરા,તા.22 માર્ચ 2024,શુક્રવાર

તા. 31 માર્ચ ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે. તા.29 થી 31 સુધી રજાના દિવસો છે. નાણાકીય વર્ષના છેલ્લા દિવસોમાં સરકારી કામો કરવા માટે સામાન્ય રીતે ઘસારો રહેતો હોય છે. તારીખ 29 ના રોજ ગુડ ફ્રાઇડેની જાહેર રજા છે. આમ છતાં દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે જાહેર રજા દિવસે પણ  નોંધણીની કામગીરી ચાલુ રાખવા સરકારે પરિપત્ર જારી કર્યો છે. તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓને દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે જરૂરી એપોઇન્ટમેંટ/ટોકન સ્લોટ ફાળવવા સુચના આપવામાં આવી છે. તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ગરવી વેબ એપ્લીકેશન મારફતે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવેલ હોય તે જ દસ્તાવેજની નોંધણીની કાર્યવાહી નિયમોનુસાર કરવામાં આવશે. જોકે આ દિવસે ફક્ત દસ્તાવેજ નોંધણીની જ કાર્યવાહી કરવાની રહેશે. તમામ અધિક નોંધણી સર નિરીક્ષક (અમદાવાદ, વડોદરા, સુરત, અને રાજકોટ ઝોન), મદદનીશ નોંધણી નિરીક્ષક, નોંધણી નિરીક્ષક દ્વારા ઉપર્યુક્ત કચેરીઓ જરૂરી મહેકમ સાથે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા સુચના અપાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગ દ્વારા દેશભરની આવકવેરા કચેરીઓને તારીખ 29 થી 31 સુધી લોકોને ઇન્કમટેક્સને લગતી કામગીરીમાં તકલીફ ન પડે તે માટે રજાના દિવસો હોવા છતાં ચાલુ રાખવા આદેશ જારી કરાયો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરીજનો પોતાના મિલકતવેરાના બીલો ભરી શકે તે માટે તારીખ 29 થી 31 ઓફિસો ચાલુ રાખી છે.


Google NewsGoogle News