આણંદ જિલ્લામાં સાઇબર ક્રાઇમ પોલીસે 1.84 કરોડથી વધુની રકમ પરત અપાવી

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
આણંદ જિલ્લામાં સાઇબર ક્રાઇમ પોલીસે 1.84 કરોડથી વધુની રકમ પરત અપાવી 1 - image


સાઇબર ગઠિયાઓનો શિકાર બનેલાઓને

ફરિયાદ બાદ નાણા ફ્રિઝ કરી કોર્ટના આદેશ બાદ નાણા પાછા અપાયા

આણંદ: આણંદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ખેડૂતો, નોકરીયાતો સહિત ડોક્ટર તેમજ એન્જીનીયરો પણ સાયબર ગઠીયાઓના શિકાર બન્યા હોવાની ફરિયાદો નોંધાવવા પામી છે. જે અંતર્ગત સાયબર પોલીસ દ્વારા આવા કેસોમાં ઝડપી કાર્યવાહી કરી કુલ ૧.૮૪ કરોડ ઉપરાંતની રકમ ભોગ બનનારને પરત અપાવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

 ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનનાર વ્યક્તિ દ્વારા તુંરત જ સાઈબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ૧૯૩૦ ઉપર ફરિયાદ કરવાથી જે તે એકાઉન્ટમાં ઠગાઈના નાણાં ગયા હોય તે  નાણાંને ફ્રીઝ કરી દેવામાં આવે છે. બાદમાં પોલીસ દ્વારા ભોગ બનનાર ગ્રાહકનો સંપર્ક કરી જરૂરી માહિતી મંગાવી સામાવાળાના ફ્રીઝ થયેલા બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી ઠગાઈ પૈકીના બચી ગયેલા નાણાં પરત મેળવી આપવામાં આવ્યા હતા. બાદમાં કોર્ટના હુકમથી અત્યાર સુધીમાં કુલ રૂા.૧,૮૪,૧૭,૭૨૧ જેટલી રકમ સાયબર ઠગાઈનો ભોગ બનનાર વ્યક્તિઓને પરત આપવામાં આવી હતી.

વધુમાં સાયબર પોલીસ સૂત્રો દ્વારા સાયબર ફ્રોડથી બચવા માટે નાગરિકોએ કોઈપણ બેંક/મોબાઈલ કંપનીમાંથી ફોન આવે તો કોઈપણ જાતના બેંક એકાઉન્ટ તથા ઓટીપીની માહિતી શેર ન કરવા, કોઈ અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવેથી મોબાઈલમાં કોઈપણ જાતની એપ્લીકેશન ડાઉનલોડ/ઈન્સ્ટોલ ન કરવી, અજાણી સ્ત્રીના ફોટાવાળી ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારવી નહી, કોઈપણ ચીજવસ્તુની ઓનલાઈન ખરીદી કે બુકીંગ કરાવતી વખતે ઓફિસિયલ વેસબાઈટની ખરાઈ કરીને જ ખરીદી કરવી, અજાણ્યા મોબાઈલ નંબર પરથી આવેલ કોઈપણ જાતની લીંક ઓપન ન કરવી, જ્યારે કોઈપણ મિત્ર તેના મેસેન્જર દ્વારા રૂપિયાની માંગણી કરે તો તે મિત્રની ઓળખ કરી તેના મોબાઈલ નંબર પરત તેની ખરાઈ કરવી જેવી સાવધાની રાખવા જણાવાયું છે.


Google NewsGoogle News