વિરજઇની તલાવડીમાં મગર ખેંચી જતા આધેડનું કરૃણ મોત

મંદિરના મહંતના ઘેર કામ કરી પરત જતી વખતે મગરે શિકાર કર્યો

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
વિરજઇની તલાવડીમાં મગર ખેંચી જતા આધેડનું કરૃણ મોત 1 - image

વડોદરા, તા.28 કરજણ તાલુકાના વિરજઇ ગામનો આધેડ લાપત્તા થયાના બે દિવસ બાદ તેની લાશ મળી હતી. નાળામાંથી લાશ મળ્યા બાદ મગરના હુમલાના કારણે મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે વિરજઇ ગામમાં રહેતા શનાભાઇ સોમાભાઇ રાઠોડિયા (ઉ.વ.૪૮) ગામની સીમમાં આવેલા મહાદેવ  મંદિરના મહંતના ઘેર કામ કરતા હતાં. તા.૨૫ના રોજ રાત્રે તેઓ મહંતના ઘેરથી પોતાના ઘેર જવા માટે નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓ લાપત્તા થઇ ગયા હતાં. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ પત્તો મળ્યો ન હતો.

દરમિયાન તા.૨૭ના રોજ બપોરે ગામની સીમમાં મારવા વિસ્તારમાં આવેલી તલાવડી નજીક પાણીમાંથી દુર્ગધ મારતા ગ્રામજનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ત્યારે પાણીમાં કોહવાઇ ગયેલો શનાભાઇનો મૃતદેહ મળ્યો હતો. તેમની લાશ બહાર કાઢતા પ્રાથમિક અંદાજ મુજબ મગર તેમને ખેંચી ગયા બાદ શિકાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા વનવિભાગની મદદ લેવામાં આવી ત્યારે હાથ પર દાંતના નિશાન જોવા મળ્યા હતા જેથી મગર ખેંચી જવાથી મોત નિપજ્યું હોવાનું નક્કી થયું હતું.




Google NewsGoogle News