વડોદરામાં બે સ્થળે રસ્તા બંધ કર્યાની જાહેરાત પરંતુ ક્યારે ફરી શરૂ થશે તેનો કોઈ ઉલ્લેખ નહીં કરતા વિવાદ
image : Freepik
વડોદરા,તા.7 ઓક્ટોબર 2023,શનિવાર
વડોદરા શહેરના ઉત્તર ઝોન વિસ્તારમાં અદાણીયા પુલથી ફતેપુરા રાણાવાસ સુધી અને મકરપુરા જીઆઇડીસી અલવાનાકાથી શાકમાર્કેટ થઈ કોતર તલાવડી જંકશન સુધી વિવિધ કામગીરી માટે રોડ રસ્તા બંધ કરીને વાહનચાલકો માટે ડાઈવરજન આપવામાં આવ્યું છે. જોકે આ બંને કામગીરી માટે કાર્ય પૂરું થવા બાબતે કોઈ જાહેરાત કરાઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે મકરપુરા જીઆઇડીસી રોડ અલવાનાકા થી શાકમાર્કેટ થઈને કોતર તલાવડી જંકશન સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવાની છે જેથી ડાબી બાજુ નો રસ્તો જરૂરિયાત મુજબ આજથી એટલે કે તા 7 ઓક્ટો.થી તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ અવરજવર માટે કામ પૂર્ણ થતા સુધી બંધ રહેશે જેથી આ રસ્તાના વિકલ્પે અન્ય વૈકલ્પિક રસ્તાઓનો સાવધાની પૂર્વક ઉપયોગ કરવા પાલિકા સૂત્રોએ જણાવ્યું છે.
આવી જ રીતે શહેરના ઉત્તર ઝોન વિસ્તારમાં અડાણીયા પુલથી ફતેપુરા રાણાવા સુધી 300 મીમી ડાયાની લાઇન લંબાવવાની કામગીરી કરવાની છે જેથી ખોદાણ કામ અને પાઇપ લેઇંગ તથા માટીપુરા ની કામગીરીને કારણે આ રસ્તો તારીખ 9 ઓક્ટોબરથી શરૂ થનાર આ કામગીરી પૂર્ણ થતા સુધી આંશિક ભાગમાં હંગામી ધોરણે ટ્રાફિક માટે બંધ કરવામાં આવશે આ વિસ્તારના નાગરિકોને અવરજવર માટે આજુબાજુના વૈકલ્પિક પ્રસ્તાવનો ઉપયોગ કરવા પાલિકાએ સૂચના આપી છે.