Get The App

અકસ્માત નહી, કાવતરાની શંકા : પિકઅપ વાનની ટક્કરે જૈન સાધ્વીજી કાળધર્મ પામ્યા

પોલીસ આવે તે પહેલાં પિકઅપ વાનનો માલિક ફરાર, ક્લિનર હોટલના એ.સી.રૃમમાંથી ઝડપાયો

Updated: Nov 23rd, 2022


Google NewsGoogle News
અકસ્માત નહી, કાવતરાની શંકા : પિકઅપ વાનની ટક્કરે જૈન સાધ્વીજી કાળધર્મ પામ્યા 1 - image


પાલેજ નજીક પિકઅપ વાને ટક્કર મારતા જૈન સાધ્વીજી પર્વાદિરત્નાજી કાળધર્મ પામ્યાં : કરજણમાં અંતિમ સંસ્કાર થયા

વડોદરા :પાલેજથી આજે વહેલી સવારે ૬.૩૦ વાગ્યે વિહાર કરીને રામસૂરિશ્વરજી સમુદાયના આચાર્ય ઉદયરત્નસૂરિશ્વરજીનો સંઘ વડોદરા માંજલપુર જૈન સંઘમાં આવી રહ્યો હતો ત્યારે પાલેજ નજીક દેથાણના પાટિયા પાસે એક બોલેરો પિકઅપ વાને હાઇવેની સાઇડમાં વિહાર કરી રહેલાં સંઘના યુવા સાધ્વીજી પર્વાદિરત્નાજીને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓના કારણે સારવાર મળે તે પહેલાં જ સાધ્વીજી કાળધર્મ પામ્યા હતાં

પોલીસ અને વિહાર સંઘના યુવાનોની હાજરીમાં જ દુર્ઘટના સર્જાઇ, સાધ્વીજીએ દોઢ વર્ષ પહેલાં જ દીક્ષા ગ્રહણ કરી હતી : પાલેજથી વિહાર કરીને ઉદયરત્નસૂરિજીનો સંઘ વડોદરા માંજલપુર આવી રહ્યો હતો

આચાર્ય ઉદયરત્નસૂરિશ્વરજી ઉપરાંત પાંચ સાધુ ભગવંતો અને ૩ સાધ્વીજી ભગવંતોએ વડોદરા આવવા માટે પાલેજથી વહેલી સવારે ૬.૩૦ વાગ્યે પગપાળા વિહારનો પ્રારંભ કર્યો હતો. હાઇવે પર વિહાર કરતા જૈન સાધુ-સાધ્વીજીઓને વાહન ચાલકો નિશાન બનાવીને જીવલેણ અકસ્માત કરતા હોવાના અનેક બનાવોના કારણે જૈન સંઘના યુવાનો વિહાર સેવકો તરીકે તેમની સાથે રહે છે. ઉપરાંત, પોલીસ સુરક્ષા મળે છે એટલે આચાર્ય ઉદયરત્નસૂરિશ્વરજી મહારાજના સંઘ સાથે કરજણના વિહાર સંઘના પાંચ યુવકો અને પોલીસ વાન પણ સાથે હતાં. દરમિયાન, દેથાણ ગામ નજીક વસંત વિહાર જૈન દેરાસર પાસે આચાર્ય મહારાજ સાહેબ સહિતના સાધુ ભગવંતો પાછળ આવી રહેલા સાધ્વીજી મહારાજોની રાહ જોવા માટે થોડો સમય ઊભા રહ્યા હતા તે સમયે ભરૃચ તરફથી એક બોલેરો પિકઅપ વાને હાઇ વેથી બે ફૂટ દૂર કાચી જમીન પર પગપાળા ચાલી રહેલા સાધ્વીજી પર્વાદિરત્નાશ્રીજી મહારાજ સાહેબ (ઉ.૨૫)ને  ટક્કર મારી હતી. આ ટક્કરથી સાધ્વીજી ઉછળી પડયાં હતાં અને ગંભીર ઇજાઓ થતાં તેઓને તુરંત કરજણની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં, જ્યાં તેઓને સારવાર મળે તે પહેલાં જ કાળધર્મ પામ્યાં હતાં. આ ઘટનાના પગલે જૈન સમાજમાં ભારે શોક છવાઇ ગયો હતો. બપોરે ૩.૩૦ વાગ્યે કરજણમાં પાલખીયાત્રા બાદ અંતિમ સંસ્કાર કરાયા હતા ત્યારે આખા ગુજરાતમાંથી જૈન સમાજના સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાધ્વીજી પર્વાદિરત્નાજી બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વતની હતાં અને દોઢ વર્ષ પહેલા જ દીક્ષા ગ્રહણ કરી હતી. 

અકસ્માત નહી, કાવતરાની શંકા : પિકઅપ વાનની ટક્કરે જૈન સાધ્વીજી કાળધર્મ પામ્યા 2 - image
અકસ્માત સર્જનાર પિકઅપ વાન



અકસ્માત નહી, પૂર્વ આયોજિત કાવતરું હોવાની શંકા : વિહાર સંઘના યુવકોએ પીછો કરીને પિકઅપ વાનને ઝડપી પાડી

પાલેજ નજીક પિકઅપ વાનની અટફેટે જૈન સાધ્વીજી પર્વાદિરત્નાશ્રીજી કાળધર્મ પામ્યાં છે. આ ઘટના જૈન સમાજ માટે આઘાતજનક છે.અગાઉ પણ આવાં અનેક બનાવો બન્યા છે. આજની ઘટનમાં સાધ્વીજી હાઇ વે પર રોડથી બે ફૂટ દૂર ચાલતા હોવા છતાં પિકઅપ વાન હાઇવેથી નીચે ઉતરીને સાધ્વીજીને અડફેટે લે છે એ જોતા આ અકસ્માતનો બનાવ નથી પરંતુ પૂર્વ આયોજિત ષડયંત્ર હોવાની પૂરી શંકા છે એમ કરજણ જૈન સંઘના અગ્રણી મયુર શાહે કહ્યું હતું. મયુરભાઇ આજે સંઘ સાથે વિહારમાં સેવક તરીકે સાથે હતા અને તેમની નજર સામે જ આ દુર્ઘટના સર્જાઇ હતી.

મયુરભાઇ કહે છે કે, દુર્ઘટના બાદ પિકઅપ વાન લઇને ડ્રાઇવર ક્લિનર ફરાર થયા હતા અમે કારમાં તેમનો બે કિ.મી. પીછો કરીને એક હાઇવે હોટલ પાસે ઝડપી પાડયા હતા અને પિકઅપ વાનને હોટલના પાર્કિંગમાં લઇ ગયા હતા. અહીં પોલીસ આવે તે પહેલા ડ્રાઇવર કમ માલિક અકબરખાન બ્લોચ (રહે.હસનપુરા ડુંગરી, સાબરકાંઠા) અને ક્લિનર ભાગી ગયા હતા. પાછળથી પોલીસે ક્લિનરને હોટલના એ.સી.રૃમમાંથી ઝડપી પાડયો હતો.


Google NewsGoogle News