વડોદરામાં સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી ફોરલેન ફ્લાયઓવર બ્રિજ સળંગ બનાવવા વિચારણા

Updated: Oct 28th, 2021


Google NewsGoogle News
વડોદરામાં સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી ફોરલેન ફ્લાયઓવર બ્રિજ સળંગ બનાવવા વિચારણા 1 - image


- બ્રિજની લંબાઈ 1931.50 મીટર રહેશે

- ફ્લાય ઓવર બ્રિજ સળંગ નહીં બને તો બંને જંકશન પર અલગ-અલગ બનાવાશે

વડોદરા,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી 1931.50 મીટર લાંબો ફોરલેન ફ્લાયઓવર બ્રીજ સળંગ અથવા તો બે અલગ ભાગમાં બનાવવાનો નિર્ણય કરવા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. જો આ બ્રિજ સળંગ બનાવવામાં આવે તો રૂપિયા 130.87 કરોડનો ખર્ચ થશે તેવો અંદાજ છે. જો બે અલગ બ્રિજ બનાવવામાં આવે તો સરદાર એસ્ટેટ ચાર રસ્તા પર 702.50 મીટર લાંબો ફોરલેન બ્રિજ રૂપિયા 55.39 કરોડના ખર્ચે તથા વૃંદાવન ચાર રસ્તા જંકશન પર 725 મીટર લાંબો ફોર લેન બ્રિજ રૂપિયા 56.74 કરોડના ખર્ચે બનશે. 

વડોદરા કોર્પોરેશનમાં સાંસદ અને ધારાસભ્યોની સંકલન સમિતિની મીટીંગ તારીખ 23-8-2021 ના રોજ મળી હતી. જેમાં બે બ્રિજ અલગ-અલગ બનાવવાના બદલે સરદાર એસ્ટેટ જંકશનથી વૃંદાવન જંકશન વચ્ચે સળંગ ફ્લાયઓવર બ્રિજ બનાવવા રજૂઆત થઇ હતી. જેને ધ્યાનમાં રાખીને બંને જંકશનને જોડતો સંયુક્ત ફ્લાય ઓવરબ્રિજ અથવા તો ઉપર જણાવ્યા મુજબ બે અલગ અલગ બ્રિજ બનાવવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ થઈ છે. આ બ્રિજ સળંગ અથવા તો બે ભાગમાં બને તો પણ બ્રિજની પહોળાઈ 16.80 મીટર રહેશે. બ્રિજની કામગીરીમાં નડતર રૂપ વીજ લાઈનો, વીજ થાંભલા, પાણીની લાઇનો વગેરે ખસેડવા પડશે. 

વડોદરામાં વૃંદાવન ચાર રસ્તા જંકશન, ખોડીયાર નગર ચાર રસ્તા જંકશન, સરદાર એસ્ટેટ જંકશન, સંગમ ચાર રસ્તા જંકશન, વાસણા રોડ ચાર રસ્તા તથા સમા તળાવ પાસે અને માણેકપાર્ક ચાર રસ્તા જંકશન પર બ્રિજની સિદ્ધાંતિક મંજૂરી અર્થે દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી હતી, જેમાંથી છની સિદ્ધાંતિક મંજૂરી મળી હતી. જે સ્થળ ખાતે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનો છે, ત્યાં ટ્રાફિક અંગે કેન્દ્ર સરકારની સંસ્થા દ્વારા સ્ટડી કરવામાં આવ્યો હતો. જેમાં 36 મીટર ઇનર રીંગ રોડ પર સંગમ ચાર રસ્તા જંકશન, 40 મીટર આઉટર રિંગરોડ પર વૃંદાવન ચાર રસ્તા જંકશન અને 40 મીટર આઉટર રિંગ રોડ પર સરદાર એસ્ટેટ ચાર રસ્તા જંકશન પર ત્રણ ફ્લાયઓવર બનાવવા ભલામણ કરાઈ હતી. બ્રિજ માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા 70 કરોડની સિદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાંથી પ્રથમ તબક્કે 27 કરોડની ફાળવણી કરી બ્રિજની કામગીરી કરવા જણાવાયું હતું. જે કામગીરી માટે સલાહકાર દ્વારા સરદાર એસ્ટેટ ચાર રસ્તા જંકશન અને વૃંદાવન ચાર રસ્તા જંકશન પર બ્રિજ બનાવવા ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કર્યો હતો.


Google NewsGoogle News