નવી શિક્ષણ નીતિ પર વેસ્ટ ઝોનના તમામ વીસીની કોન્ફરન્સ યોજાશે
વડોદરાઃ ગુજરાત સરકાર અને એમ.એસ.યુનિવર્સિટી દ્વારા તા.૨૬ ઓક્ટોબરે વેસ્ટ ઝોનની તમામ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોની એક કોન્ફરન્સનુ આયોજન એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે.
મળતી વિગતો પ્રમાણે સરકારની નવી શિક્ષણ નીતિનો અમલ કેવી રીતે થઈ શકે તેની ચર્ચા કરવા માટે આ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યુ છે.ગુજરાત સરકારે સહ આયોજક તરીકે એમ.એસ.યુનિવર્સિટી પર પસંદગી ઉતારી છે.
જેમંાં વેસ્ટ ઝોનની તમામ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની સાથે સાથે સરકારના ટોચના અધિકારીઓ તથા શિક્ષણ ક્ષેત્રની નીતિ ઘડનારા શિક્ષણવિદો, રિસર્ચ સ્કોલર તેમજ ઉદ્યોગોના પ્રતિનિધિઓ પણ હાજરી આપનાર છે.
આ કોન્ફરન્સમાં નવી શિક્ષણ નીતિના અમલ માટે વિવિધ યુનિવર્સિટીઓ વચ્ચે જોડાણની જાહેરાત પણ કરવામાં આવશે.સાથે સાથે નવી શિક્ષણ નીતિનો અસરકારક રીતે અમલ કેવી રીતે થઈ શકે તેના પર નવા વિચારોની પણ આપ લે થશે સાથે સાથે અમલ આડેના પડકારો પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં આ વર્ષથી નવી શિક્ષણ નીતિનો અમલ કરવામાં આવ્યો છે.જેના પગલે એમ.એસ.યુનિવર્સિટીમાં પણ તમામ ડિગ્રી કોર્સ આ વર્ષથી ત્રણ વર્ષની જગ્યાએ ચાર વર્ષના થઈ ગયા છે.જોકે યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટી હજી સુધી નવી શિક્ષણ નીતિ પ્રમાણે માળખુ તૈયાર કરીને અમલમાં મુકી શકી નથી.