પતિની પ્રેમિકાના સંતાને મકાન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
પતિનું અવસાન થયું તે રાતે જ પ્રેમિકાનું પણ અવસાન થયુ છતાંય મકાન ખાલી કરતા નહતા
વડોદરા,પતિના અવસાન પછી પતિની પ્રેમિકાના સંતાને મકાન ખાલી નહી કરતા હોવાથી પત્નીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી હતી. કમિટીએ ગુનો દાખલ કરવાનો હુકમ કરતા વારસિયા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફતેપુરા હુજરત ટેકરા વિસ્તારમાં રહેતા સુરેખાબેન ચંદ્રકાંતભાઇ ગવલીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિનું અવસાન થયું છે. મારો દીકરો રિક્ષા ચલાવે છે. મારા પતિની નોકરી કરતા હતા. પરંતુ, તેમની તબિયત સારી રહેતી નહી હોવાથી તેમણે રાજીનામુ આપી દીધું હતું. તેમના ફંડમાંથી આવેલા રૃપિયામાંથી અમે ન્યૂ વી.આઇ.પી. રોડની રાધા પાર્ક સોસાયટીમાં મકાન લીધું હતું. તે મકાનમાં મારા પતિ તેમની પ્રેમિકા અંબાબેન સાથે રહેતા હતા. સપ્ટેમ્બર - ૨૦૨૦માં મારા પતિનું અવસાન થયું હતું. મરણ પ્રસંગમાં અંબાબેન અમને તેમના પુત્ર વિજય ગણપતભાઇ મકવાણા અને પુષ્પાબેન વિજયભાઇ મકવાણા આવ્યા હતા. તે જ રાતે અંબાબેનનું પણ અવસાન થયું હતું. તેમની અંતિમ વિધિ પછી વિજય અને વિજયની પત્ની પુષ્પાબેન રાધા પાર્ક વાળા મકાનમાં રહેવા લાગ્યા હતા. અમે તેઓને કહ્યું હતું કે, આ મકાન મારા પતિના નામે છે. તમે ખાલી કરી દો. ત્યારે એવો જવાબ આપતા હતા કે, આ મકાન અમારી માતા અંબાબેનના નામે છે. તમને મળશે નહીં. તમારે જે કરવું હોય તે કરજો. જે અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાતા એસીપી એમ.પી.ભોજાણીએ વધુ તપાસ હાથ ધરી છે.