વડોદરામાં પ્રેમ લગ્ન કરનાર પરણીતા પર ત્રાસ ગુજારતા પતિ સામે ફરિયાદ
image : Freepik
- કામ ધંધો નહીં કરી પત્ની પાસે વારંવાર પૈસાની માંગણી કરી મારઝૂડ કરતા પતિ વિરુદ્ધ માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે
વડોદરા,તા.02 ઓક્ટોબર 2023,સોમવાર
અટલાદરા વિસ્તારમાં રહેતી 23 વર્ષની પરણીતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા પ્રેમ લગ્ન ઓક્ટોબર 2020 માં જતીન જગદીશભાઈ શાહ રહેવાસી યોગી નગર સોસાયટી અટલાદરા સાથે થયા હતા. લગ્નના ચાર મહિના સુધી મને સારી રીતે રાખી હતી ત્યારબાદ મારા પતિ કોઈ કામ ધંધો કરતા નહોતા અને વારેઘડીએ મારી પાસે પૈસાની માંગણી કરી ઝઘડો કરતા હતા. આ બાબતે હું મારા સાસુ હેતલબેન તથા સસરા જગદીશભાઈને કહેતી હોય તો તેઓ પણ મારી સાથે ઝઘડો કરતા હતા. ઘર સંસાર બગડે નહીં તે માટે હું સહન કરતી હતી પરંતુ મારા પતિમાં સુધારો નહીં આવતા એક મહિનાથી મારા પિતાના ઘરે બીલ રોડ પર રહું છું. 29મી તારીખે મારા પતિ પિયરમાં આવીને મારા પિતાને કહેતા હતા કે તમે તમારી છોકરીને કેમ મોકલતા નથી તેમણે મારા પિતા સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમે કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસની ગાડી આવતા તે નાસી ગયો છે.