કોમર્સ ફેકલ્ટી હજી પણ કોરોના કાળમાંથી બહાર આવવા તૈયાર નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં આવતીકાલ, બુધવારથી એસવાય અને ટીવાયના ૧૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની ઈન્ટરનલ પરીક્ષાનો પ્રારંભ થશે.આ વર્ષે પણ સત્તાધીશો એમસીક્યૂ પધ્ધતિથી ઈન્ટરનલ પરીક્ષા લેશે.કોમર્સ ફેકલ્ટી હજી પણ કોરોનાકાળમાંથી બહાર આવી નથી.
કોરોના પહેલા ફેકલ્ટીમાં ઈન્ટરનલ પરીક્ષા પણ થીયરી સ્ટાઈલમાં લેવામાં આવતી હતી.જેમાં ૧૫-૧૫ માર્કના બે લાંબા પ્રશ્નો પૂછવામાં આવતા હતા.આમ વિદ્યાર્થીઓને લાંબા જવાબો લખવાની ટેવ ફાઈનલ પરીક્ષા પહેલા પડતી હતી.વિદ્યાર્થીઓએ વાંચન પણ કરવુ પડતુ હતુ.
જોકે કોરોનાના કારણે બે વર્ષ ઓનલાઈન પરીક્ષાઓ લેવાની ફરજ પડી હતી.ઓનલાઈન પરીક્ષાના કારણે ઈન્ટરનલ પરીક્ષામાં પણ એમસીક્યૂ પધ્ધતિથી પરીક્ષા લેવાનુ શરુ થયુ હતુ.કોરોનાની લહેર ખતમ થઈ ગયા પછી પણ હજી કોમર્સ ફેકલ્ટી એમસીક્યૂ પધ્ધતિથી જ પરીક્ષા લઈ રહી છે.
ફેકલ્ટીના એક સિનિયર અધ્યાપકે કહ્યુ હતુ કે, અગાઉની જેમ થીયરી પધ્ધતિથી પરીક્ષા કેમ નથી લેવાતી તેનુ આશ્ચર્ય છે.કારણકે તેમાં વિદ્યાર્થીને વાંચવુ પડે છે અને તેને લખવાની પ્રેક્ટિસ પણ મળે છે.જે તેને ફાઈનલ પરીક્ષામાં ઉપયોગી પૂરવાર થાય છે.એમસીક્યૂ પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે પણ સત્તાધીશોને તો કોઈ પણ હિસાબે પરીક્ષા લેવી છે અને પરિણામ આપવા છે.કેવી રીતે પરીક્ષા લેવાય છે તે બાબત મહત્વ રાખતી નથી.