બેટા તું પરત આવી જા, તું લાલાની સેવા કરજે, તારી મમ્મીએ અન્ન જળનો ત્યાગ કર્યો છે

પોલીસે લાપતા કિશોરની ભાળ મેળવવા માટે રાજસ્થાનના શ્રીનાથજી મંદિરે પણ જાણ કરી

Updated: Apr 24th, 2024


Google NewsGoogle News
બેટા તું પરત આવી  જા,  તું લાલાની સેવા કરજે, તારી મમ્મીએ અન્ન જળનો ત્યાગ કર્યો છે 1 - image

વડોદરા,અલકાપુરી ખાતેની ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાનો ૧૫ વર્ષીય પુત્ર ગૂમ થયાના  છ દિવસ પછી પણ મળી આવ્યો નથી. તેના પિતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરીને પુત્રને ઘરે પરત આવી જવા માટે વિનંતી કરી છે.

હવેલીમાં સેવા કાર્ય કરતા જોગારામનો ૧૫ વર્ષીય પુત્ર તા.૧૮મીએ બપોરે ગૂમ થતાં તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ, હજીસુધી તે મળી આવ્યો નથી. વ્યથિત પિતાએ આજે હાથ જોડીને પુત્રને પરત ઘરે આવી જવા માટે વિનંતી કરતો એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેમણે જણાવ્યું છે કે, બેટા તું પરત આવી  જા. ઘરે તું લાલાની સેવા કરજે. તારી મમ્મીએ અન્ન જળનો ત્યાગ કર્યો છે. તે જીવવાની ના પાડે છે.  રોજ ઘરે ડોક્ટરને બોલાવવા પડે છે. મારી હાલત કફોડી છે. તારી મમ્મી કહે છે કે, મને મારા દીકરાનું મોંઢુ બતાવો. તું મારી લાગણી સમજ બેટા. તું જ્યાં હોય ત્યાં કોલ કરજે. હું તને લેવા આવી જઇશ. તને કોઇ કશું નહીં પૂછે કે, તું કેમ અને ક્યાં ગયો હતો. મારા ઇષ્ટ દેવ ગોવર્ધન નાથ  પ્રભુજીને  પણ હું રોજ હાથ જોડીને વિનંતી કરૃં છું. તું જ્યાં હોય ત્યાંથી પરત આવી જા. તારે જે કરવું  હોય તે કરજે. તેને કોઇ કશું પૂછે નહીં કે, તું ક્યાં ગયો હતો ? કેમ ગયો હતો ? તને ભણવા બાબતે  પણ કોઇ દબાણ કરશે નહીં. તારે જે કરવું હોય તે કરજે. તને કોઇ રોકટોક કરે નહીં.


Google NewsGoogle News