વડોદરાના રેલવે સ્ટેશનનો તેમજ શહેરના એન્ટ્રી પોઇન્ટના માર્ગો પર કાલે સફાઈ અભિયાન
- તારીખ 15 થી બે મહિના સુધી દરેક રવિવારે સફાઈ ઝુંબેશ કરાશે
વડોદરા,તા.14 ઓક્ટોબર 2023,શનિવાર
વડોદરા શહેરમાં રેલવે સ્ટેશનનો તેમજ શહેરમાં પ્રવેશ માટેના એન્ટ્રી પોઇન્ટ પર સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે કોર્પોરેશનના સફાઈ સેવકો, રેલવે વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ એનજીઓના કાર્યકરો તારીખ 15 ના રોજ સફાઈ અભિયાન હાથ ધરશે. તારીખ 15 બાદ બે માસ સુધી દરેક રવિવારે વિવિધ ધાર્મિક, સરકારી અને જાહેર સ્થળો પર સફાઈ હાથ ધરી ભેગા કરેલા ઘન કચરાનો નિકાલ કરશે. તારીખ 2 ઓક્ટોબરથી સમગ્ર ભારતમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવેલું છે, જેના અનુસંધાનમાં આ કામગીરી હાથ ધરાશે. વડોદરા, વિશ્વામિત્રી, મકરપુરા, છાયાપૂરી અને પ્રતાપ નગર રેલવે સ્ટેશન આસપાસનો વિસ્તાર તેમજ શહેરમાં પ્રવેશવાના માર્ગો જેમ કે આજવા, વાઘોડિયા ,કપુરાઈ, છાણી જીએસએફસી, ગોલ્ડન ચોકડી, ગોરવા, દુમાડ, તરસાલી, કલાલી, મકરપુરા ખાતે પણ સફાઈ હાથ ધરવામાં આવશે. દર રવિવારે ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ, પ્રવાસન સ્થળો, સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશન, કોર્ટ સંકુલો, હાઉસિંગ સોસાયટીઓ, મુખ્ય સિવિલ હોસ્પિટલ, સામુદાયિક શૌચાલય, વોટરબોડીઝ, સરકારી રહેણાંકની વસાહતો વગેરે સ્થળે પણ સફાઈ કરવામાં આવશે.