કોમર્સ ફેકલ્ટીમાં એફવાયના વર્ગો આજથી શરુ કરવામાં આવશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ એફવાયબીકોમનું શિક્ષણ તા.૧૨ ઓગસ્ટ, સોમવારથી શરુ કરવાનો રાતોરાત નિર્ણય લીધો છે.આ વખતે એફવાયબીકોમમાં ૬૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.જ્યારે ધો.૧૨ની પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે.
અન્ય ફેકલ્ટીઓમાં એફવાયના વર્ગો શરુ થઈ ગયા છે ત્યારે એફવાયબીકોમમાં હંગામી અધ્યાપકોની નિમણૂકોના અભાવે સત્તાધીશો ભણાવવાનું શરુ નહોતા કરી રહ્યા પરંતુ હવે ઓછા અધ્યાપકો સાથે પણ શિક્ષણ શરુ કરી દેવામાં આવશે.કોમર્સ ફેકલ્ટીના ડીનના જણાવ્યા પ્રમાણે તા.૧૨ ઓગસ્ટથી બપોરે ૩ વાગ્યાથી એફવાયબીકોમનો પ્રારંભ થશે.વિદ્યાર્થીઓએ તેમને જે યુનિટમાં એડમિશન મળ્યું હોય તે યુનિટમાં હાજરી આપવાની રહેશે.સાથે સાથે પાદરા કોલેજ ખાતે પણ બપોરના ૧૨ વાગ્યાથી એફવાયના વગો શરુ થશે.
સૂત્રોનુ કહેવું છે કે, ફેકલ્ટી સત્તાધીશોએ વિદ્યાર્થીઓના ૪૫ ડિવિઝનની જગ્યાએ ૧૪ ડિવિઝનનુ ટાઈમ ટેબલ બનાવ્યું છે અને તે અનુસાર શિક્ષણ શરુ કરાશે. સત્તાધીશોની ધારણા છે કે, શરુઆતના દિવસોમાં ઓછા વિદ્યાર્થીઓ ભણવા માટે આવશે.એટલે ઓછા અધ્યાપકો સાથે ઓછા ડિવિઝનમાં ભણાવવું શક્ય બનશે.સાથે સાથે ઈન્ડિયન નોલેજ સિસ્ટમના વિષયોના લેકચર પણ હાલના તબક્કે નહીં લેવાય.
જોકે હંગામી અધ્યાપકોની નિમણૂકના ઓર્ડર યુનિવર્સિટી હેડ ઓફિસ દ્વારા એક અઠવાડિયામાં નહીં આવે તો સત્તાધીશો માટે ઓછા અધ્યાપકો સાથે વિદ્યાર્થીઓને ભણાવવું મુશ્કેલ બનશે.