માંજલપુરમાં જમીનના ભાગ પાડવા બાબતે મારામારી
મારામારીમાં ત્રણને ઇજા : આરોપીઓની શોધખોળ
વડોદરા,જમીનના ભાગ પાડવાના મુદ્દે ઝઘડો થતા મારામારી થઇ હતી. જેમાં ત્રણને ઇજા થઇ હતી. માંજલપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પાસે વાડિયામાં રહેતા વિદ્યાબેન નગીનભાઇ રાજપૂતે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા મકાનની બાજુમાં આવેલી સહિયારી જગ્યાનો ભાગ પાડવા બાબતે હંસાબેનના કુટુંબીજનો વારેઘડિયે અમારી સાથે ઝઘડો કરે છે. રાતે સાડા નવ વાગ્યે મારા દીકરાએ હંસાબેન તેમજ કુટુંબીજનોને ખુલ્લી જગ્યાનો ભાગ પાડવા જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, આ જમીન હાઉસિંગની છે. તેવું જણાવી મિતુલ સતિષભાઇ પરમાર, વિકાસ સતિષભાઇ પરમાર, હંસાબેન દિનેશભાઇ પરમાર, ધવલ દિનેશભાઇ પરમાર અમારા પર ઉશ્કેરાઇ ગયા હતા. તેઓ ગાળો બોલવા લાગ્યા હતા. અમે તેઓને ગાળો નહીં બોલવા કહેતા તેઓએ અમારી સાથે ઝઘડો કર્યો હતો. મારા દીકરા પ્રકાશ તથા જગદીશને માર માર્યો હતો. મારા દિયેર ગોવર્ધનભાઇને માથામાં કડું વાગતા ઇજા થઇ હતી.