પેથાપુરમાં કોલેરાનો પોઝિટિવ દર્દી મળ્યોઃએક જ ઘરમાંથી બીજો કેસ

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
પેથાપુરમાં કોલેરાનો પોઝિટિવ દર્દી મળ્યોઃએક જ ઘરમાંથી બીજો કેસ 1 - image


અત્યાર સુધી ૨૫ ટીમો દ્વારા બે હજારથી વધુ ઘરોનો સર્વે

પાણીના સેમ્પલ ફેઇલ આવતા દવેવાસવણકરવાસ અને પરિશ્રમ સોસા.ના ૧૦૦થી વધુ ઘરોમાં રોજ કેરબા મારફતે પાણી વિતરણ

ગાંધીનગર : ગાંધીનગરમાં કોલેરાના કેસ એક પછી એક વિસ્તારમાંથી પ્રકાશમાં આવી રહ્યા છે. જે અંતર્ગત કોર્પોરેશનમાં સમાવિષ્ટ પેથાપુરમાં પણ થોડા દિવસ પહેલા કોલેરાનો એક કેસ મળી આવ્યો હતો જેના પગલે જિલ્લા વહિવટી તંત્રએ પેથાપુર ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરીને ત્યાં સતત સર્વેલન્સ અને અન્ય નિયંત્રણના પગલા લેવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત કોર્પોરેશનના આરોગ્ય વિભાગની લગભગ ૨૫ જેટલી ટીમ દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તાર સાથે સમગ્ર પેથાપુરમાં સર્વેલન્સ હાથ ધર્યું હતું જેના ભાગરૃપે અત્યાર સુધીમાં વિવિધ ટીમો દ્વારા કુલ અઢી હજારથી પણ વધુ ઘરોમાં સર્વે કરીને ત્યાં શંકાસ્પદ દર્દીઓ મળી આવે તો તેમના નમૂના લેવા તથા સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી રહી હતી. કુલ ૨૦ હજાર જેટલી વસ્તીને આ સર્વેલન્સ અંતર્ગત આવરી લેવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં ૩૫ જેટલા શંકાસ્પદ કેસ પણ મળી આવ્યા છે. અગાઉ જે પોઝિટિવ કેસ મળી આવ્યો હતો તેના ઘરમાં જ રહેતા ૨૨ વર્ષિય મહિલાને પણ લક્ષણો જણાતા તેમના સેમ્પલ પણ ટેસ્ટીંગ માટે મોકલવાામાં આવ્યા હતા જે આજે પોઝિટિવ આવતા કોર્પોરેશન દ્વારા સર્વેલન્સ સહિતની કામગીરીને વધુ સઘન બનાવી દીધી હતી. જો કે, આ મહિલા દર્દીની તબીયત પણ સુધારા ઉપર હોવાનું તથા રોગચાળો કાબુમાં હોવાનો તંત્ર દાવો કરે છે તેમ છતા આરોગ્યની સેવાઓ સ્થાનિક કક્ષાએ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલુ જ નહીં, કોર્પોરેશન દ્વારા પેથાપુરના અસરગ્રસ્ત દવેવાસ, વણકરણ વાસ તથા પરિશ્રમ સોસાયટીના ૧૦૦થી વધુ ઘરોમં ક્લોરીનેશનવાળુ પીવાનું પાણી કેરબા મારફતે મોકલવામાં આવે છે તથા સમગ્ર પેથાપુરમાં આપવામાં આવતા પાણીનાા પુરવઠાને પણ સુપર ક્લોરીનેશન કરીને જ વિતરણ કરવામાં આવે તેવી સુચન પણ પી દેવામાં આવી છે.

વૃંદાવનથી આવેલા સે-૨૦ના વૃધ્ધા પણ કોલેરામાં પટકાયા

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ પેથાપુરમાં બે કોલેરા પોઝિટિવના કેસ મળી આવ્યા છે તો બીજીબાજુ થોડા દિવસ પહેલા વાવોલ ગામમાંથી પણ કોલેરાનો કેસ સામે આવ્યો હતો જો કે આ પોઝિટિવ દર્દી અમરાઇવાડી-અમદાવાદનો હોવાનું જાણવા મળ્યું હતું. એટલુ જ નહીં, આજે સેક્ટર-૨૦માંથી પણ કોલેરાનો વધુ એક કેસ પ્રકાશમાં આવ્યો છે. જો કેદર્દીની હિસ્ટ્રી ચકાશતા તે દર્દી થોડા દિવસ પહેલા જ વૃંદાવન જઇને આવ્યું હોવાનું ખુલ્યું હતું એટલુ જ નહીં, આસપાસના રહિશો કે ઘરના અન્ય સભ્યોને લક્ષણો નહીં હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે. જેના પગલે આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ આ દર્દીની સારવાર સઘન બને તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

સે-૨૮ની આઇસ ફેક્ટરી સીલ કરાઇ

ગાંધીનગર શહેર અને જિલ્લામાં પાણીજન્ય રોગાચળો ફાટી નિકળ્યો છે. તેમાં પણ દહેગામ અને પેથાપુરમાંથી સતત કોલેરાના તથા શંકાસ્પદ દર્દીઓ પ્રકાશમાં આવી રહ્યા છે જેના પગલે વહિવટી તંત્ર તથા કોર્પોરેશન સતર્ક થઇ ગયું છે. દહેગામમાં તો સાવચેતીના ભાગરૃપે બરફની ફેક્ટરીઓ અગાઉથી જ બંધ કરાવી દેવામાં આવી છે. તો બીજીબાજુ ગાંધીનગર શહેરમાં ચાલતી આઇસ ફેક્ટરીઓમાં પણ ચકાશણી કરવા માટે આરોગ્ય વિભાગે સુચના આપી હતી જેના પગલે ફુડ તંત્ર દ્વારા તપાસ કરતા સેક્ટર-૨૮ની એક બરફની ફેક્ટરીમાં યોગ્ય માપદંડ નહીં હોવાને કારણે તથા ગુણવત્તા યોગ્ય જળવાતી નહીં હોવાથી તાત્કાલિક આ ફેક્ટરીને કોર્પોરેશનની ટીમ દ્વારા સીલ કરી દેવામાં આવી હતી. 


Google NewsGoogle News