વડોદરા: ચાંદોદ કરનાળી વચ્ચે ભીખડ ધસી પડતા રસ્તો બંધ થયો: કુબેર ટ્રસ્ટ અને પોલીસે સંયુક્ત કામગીરી કરી
વડોદરા,તા.14 જુલાઈ 2022,ગુરૂવાર
ચાંદોદ પંથકમાં અવિરત વરસાદ ના પગલે ઓરસંગ નદીના બ્રિજ પાસે ખેતરો-ભેખડોની માટી ધસી આવતા ચાંદોદ કરનાળી નો વાહન વ્યવહાર બંધ થયો હતો જેને ધારાસભ્યની દરમિયાનગીરી બાદ કુબેર ટ્રસ્ટ ના કર્મચારીઓ એ જેસીબી દ્વારા માટી ના થર દૂર કરી રાબેતા મુજબ નો વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો
છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસતા વરસાદને પગલે ચાંદોદ થી કરનાળી જવા માટે ઓરસંગ નદીના બ્રિજ પાસે માટીનું ધોવાણ થવાથી ઘુટણ સુધીની માટી મુખ્ય માર્ગ પર ધસી આવી હતી જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી આ માટીની સાફ સફાઇ માટેની સેવાકીય કાર્યવાહી દરમિયાન આસપાસના જમીનમાલિકો આડોડાઇ કરતા હોય કુબેર ટ્રસ્ટ દ્વારા ન્યાયિક કાર્યવાહી માટે ધારાસભ્ય શૈલેષ મહેતાને વિગતવાર વાત કરતા ધારાસભ્યએ સંલગ્ન વહીવટી તંત્રનું ધ્યાન દોરતા કરનાળી આઉટ પોસ્ટ તથા કુબેર ટ્રસ્ટના કર્મચારીઓએ સંયુક્ત સેવા પ્રયાસ થકી જેસીબી દ્વારા મુખ્ય માર્ગ પર ધસી આવેલી માટે દૂર કરવામાં આવતા વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો હતો ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં વારંવાર આ માર્ગ પર માટી ધસી આવતા મુશ્કેલી સર્જાય છે ત્યારે સંલગ્ન તંત્ર આ સમસ્યાના નિરાકરણ માટે સંરક્ષણ દિવાલ બનાવવા સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરે તે જરૂરી થઈ પડ્યું છે.