સીબીઆઇ દ્વારા જય જલારામ સ્કૂલના સંચાલક દિક્ષિત પટેલની અંતે ધરપકડ
શનિવારે ગુજરાતમાં સર્ચ ઓપરેશનની બાદ સીબીઆઇની મોટી કાર્યવાહી
બે દિવસ પહેલા ગોધરા સર્કિટ હાઉસમાં દિક્ષિત પટેલની નીટ પેપર લીક અંગે મેરેથોન પુછપરછ કરવામાં આવી હતી
Updated: Jun 30th, 2024
અમદાવાદ નીટ પેપર લીક મામલે સીબીઆઇની અલગ અલગ ટીમ દ્વારા ગુજરાતમાં આણંદ, ખેડા, અમદાવાદ સહિત સાત સ્થળો તપાસ કરવાની સાથે કેટલાંક શકમંદોની પુછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન જય જલારામ સ્કૂલના ટ્રસ્ટીના વિદ્યાનગર સ્થિત નિવાસ સ્થાન પર સર્ચ ઓપરેશન કરીને કેટલાંક દસ્તાવેજ પણ જપ્ત કરાયા બાદ રવિવારે ગોધરાની જય જલારામ હાઇસ્કૂલના સંચાલક દિક્ષિત પટેલની ધરપકડ કરવામાંં આવી હતી. આ ઉપરાંંત, અન્ય ચાર શકમંદોની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહી છે. નીટ પેપર લીક કૌભાંડ મામલે દિલ્હી સીબીઆઇની અલગ અલગ ટીમ દ્વારા શનિવારે અમદાવાદ, આણંદ, ખેડા, ગોધરા, વડોદરા સહિત સાત સ્થળોએ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનની કામગીરીમાં જય જલારામ સ્કૂલના ટ્રસ્ટી દિક્ષિત પટેલના વિદ્યાનગર તેમજ ગોધરામાં આવેલા નિવાસસ્થાન પર પણ તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન સીબીઆઇએ ચાક્કસ પુરાવાના આધારે ચાર જેટલા શકમંદોની અટકાયત કરી છે. આ ઉપરાંત, દિક્ષિત પટેલની બે દિવસ પહેલા ગોધરા સર્કિટ હાઉસ ખાતે મેરેથોન પુછપરછ કરવામાં આવી હતી. સાથેસાથે મળી આવેલા દસ્તાવેજોમાં સ્કૂલના સંચાલક અને ટ્રસ્ટી તરીકે તેમની ભૂમિકા શંકાસ્પદ જણાય આવતા રવિવારે દિક્ષિત પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ આમ કેસમાં ધરપકડનો આંક છ પર પહોંચ્યો છે.આ કાર્યવાહીની સાથેસાથે સીબીઆઇએ સાત જેટલા શકમંદોની પુછપરછ પણ કર્યા બાદ ચાર લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. જેમણે વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરાવવાના બદલામાં વિદ્યાર્થી દીઠ ૧૦ લાખની માંગણી કરીને નાણાંકીય વ્યવહારમાં મદદ કરી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે નીટ પેપર લીક કેસમાં અગાઉ ઝડપાયેલા તુષાર ભટ્ટ, પરષોતમ શર્મા, વિભોર આનંદ અને આરિફ વોરાની પુછપરછમાં કેટલાંક નવા નામો ખુલ્યા હતા. જેેના આધારે આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ સોમવારે પણ સીબીઆઇની ટીમ દ્વારા નાણાંકીય વ્યવહારો તપાસવા તેમજ શકમંદોના ઘરે અને ઓફિસ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવશે.