તાંદલજાની આફિયાપાર્ક સોસાયટીની જગ્યાના વિવાદમાં ગુનો દાખલ
મૂળ જમીન માલિકના અવસાન પછી વારસદારોએ અન્યને વેચાણ કરી : ખોટી રિસિપ્ટના આધારે કોર્ટમાં દાવો દાખલ કર્યો
વડોદરા,તાંદલજાની આફિયાપાર્ક સોસાયટીવાળી જગ્યામાં મૂળ જમીન માલિકના અવસાન પછી વારસદારો દ્વારા અન્યને જમીન વેચાણ કરી હતી. જેના કારણે કોર્ટમાં અલગ - અલગ દાવાઓ દાખલ થયા હતા. જેમાં બિલ્ડરની ખોટી સહીવાળી રિસિપ્ટ રજૂ કરવામાં આવી હતી. જે અંગે ડીસીબી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
તાંદલજામાં રહેતા બિલ્ડર ઇશાક સુલેમાનભાઇ કાછીઆએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૦૨ માં તાંદલજાના મુસાહાજી અકુજીભાઇ પટેલની જમીન ૩૦ લાખમાં વેચાણ રાખી હતી. મુસાહાજીએ રૃપિયા લઇ બાનાખત કરી આપ્યું હતું.પરંતુ, વેચાણ દસ્તાવેજ કરી આપતા નહતા. જેથી, કોર્ટમાં અમે દાવો દાખલ કર્યો હતો. ત્યારબાદ તેમાં સમાધાન થતા અમારા નામનો વેચાણ દસ્તાવેજ સપ્ટેમ્બર - ૨૦૧૦ માં કર્યો હતો.
વર્ષ - ૨૦૧૩ માં મુસાહાજીનું અવસાન થયું હતું. તેમના વારસદારો યુનુસ મુસાહાજી પટેલ, મેહબૂબ મુસાહાજી પટેલ, મહેરૃનબેન પટેલ, સમીમબેન, જેબુનબેન, મુમતાઝબેન તથા સમીમબેને આ જમીન અંગે અવેજની પૂરી રકમ મળી ગઇ હોવાનું લખાણ કરી નોટરી રૃબરૃ રજિસ્ટર કરી આપ્યું હતું. તેમછતાંય અમારી ત્યાં નોકરી કરતા ફિરોજખાન હફિઝખાન પઠાણને વેચાણ દસ્તાવેજ તથા પાવર ઓફ એટર્ની કરી આપ્યા હતા.
ત્યારબાદ વર્ષ - ૨૦૧૫ માં સઇદ વલીભાઇ પટેલ,સમદ આદમભાઇ પટેલ, જાકીર ઇબ્રાહિમભાઇ પટેલ, મુબારક ઇબ્રાહિમભાઇ પટેલે અમારી ખોટી સહી કરી અમે ૨૨ લાખ સ્વીકાર્યા હોવાની રિસિપ્ટ બનાવી કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે પૈકી સઇદ પટેલ ( રહે. મધુરમ સોસાયટી, તાંદલજા)નું અવસાન થયું છે. દાવો દાખલ કરનાર લોકો મૂળ જમીન માલિક મુસાહાજી પટેલના વારસદારોના સંબંધી થાય છે.પોલીસે આરોપી ફિરોજની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આફિયા પાર્કના પ્લાન બે વખત રિવાઇઝ કરાવ્યા હતા
વડોદરા,તાંદલજાની આ જગ્યા પર પ્લોટિંગ કરી એન.એ. કરાવી કોર્પોરેશનમાંથી રજાચિઠ્ઠી મેળવી ૭૨પ્લોટનું આયોજન કર્યુ હતું. જે પૈકી સાત પ્લોટ ઝેનબબેનને વેચાણ આપ્યા હતા. અને એક પ્લોટ રફિક અહેમદભાઇ પઢિયારિને આપ્યો હતો. આ જમીન હાલમાં આફિયા પાર્ક તરીકે ઓળખાય છે.
વર્ષ - ૨૦૧૫ માં બાકી રહેલા ૬૪ પ્લોટનું રિવાઇઝ કરી નવા ૪૪ પ્લોટ બનાવ્યા હતા. અને વર્ષ - ૨૦૧૮ માં ફરીથી રિવાઇઝ કરીને ૪૪ ના ૪૦ પ્લોટ બનાવ્યા હતા. જે પૈકી ૨૨ પ્લોટો અલગ અલગ વ્યક્તિઓને વેચાણ આપી દીધા છે. અને ૧૮ પ્લોટ બિલ્ડર ઇશાકભાઇના કબજામાં છે.