જી.એ.સી.એલ.ના ચેરમેનના નામે કોલ કરી રૃપિયાની માંગણી
ડિલરોની સતર્કતાના કારણે છેતરપિંડીનો બનાવ અટકી ગયો
વડોદરા,જી.એ.સી.એલ.ના ચેરમેનના નામે ડિલરોને કોલ કરી રૃપિયાની માંગણી કરનાર અજાણ્યા શખ્સ સામે જવાહર નગર પોલીસે ગુનો દાખલ કરી મોબાઇલ નંબરના આધારે તેઓની શોધખોળ હાથ ધરી છે.
માંજલપુર કડસ એપાર્ટમેન્ટમાં રહેતા રત્નાકર મહેન્દ્રભાઇ શારડા જી.એ.સી.એલ. કંપનીમાં માર્કેેટિંગ ડિપાર્ટમેન્ટમાં ડે.જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. જવાહર નગર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે અમારી કંપનીના ચેરમેન ડો. હસમુખભાઇ અઢિયાના નામનો ઉપયોગ કરીને બપોરે ૧૨ થી ૧ વાગ્યા દરમિયાન અમારી કંપનીના ડિલરો પર કોલ ગયા હતા.અને કોલ કરનારે જણાવ્યું હતું કે, હું ચેરમેન ડો.ગઢિયા બોલુ છું. મારા સંબંધીનું અકસ્માતમાં મોત થયું છે. તેની સારવાર કરાવવી જરૃરી હોવાથી સારી હોસ્પિટલની માહિતી આપો. હું તમારી ત્યાં મારો ડ્રાઇવર મોકલું છું. તેને પૈસા આપી દેજો. હું રૃબરૃમાં મળીશ ત્યારે પૈસા પરત કરી દઇશ. આવી રીતે વડોદરા, અંકલેશ્વર, મુંબઇ, નાગપુર, જોધપુર વગેરે જગ્યાએ ડિલરો પર કોલ ગયા હતા. ડિલરોએ કંપનીના એમ.ડી. સ્વરૃપ પી. ના પી.એ. ભદ્રેશ પ્રજાપતિ તથા જનરલ મેનેજર પંકજ મિત્તલને ફોન કરી ઉપરોક્ત કોલ અંગે જાણ કરી હતી. તપાસ કરતા માલૂમ પડયું કે, ડો.હસમુખભાઇ ગઢિયાના નામે અજાણ્યા શખ્સે કોલ કર્યા હતા. પરંતુ, ડિલરોની સતર્કતાના કારણે આરોપી તેની ચાલમાં સફળ થયો નહતો.