સુરત રહેતી બહેનના ઘરેથી પરત આવીને ભાઇનો આપઘાત

બહેનને ૧૫ હજાર રૃપિયા આપીને આવ્યો હતો : ઘરમાં પાણીનો નળ ચાલુ કરી ફાંસો

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
સુરત રહેતી બહેનના ઘરેથી પરત આવીને ભાઇનો આપઘાત 1 - image

વડોદરા,સુરત બહેનના ઘરેથી પરત આવ્યા પછી ૩૦ વર્ષના યુવાને ઘરે જઇને ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. જે અંગે હરણી પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ,  ન્યૂ વી.આઇ.પી. રોડ ખોડિયાર નગર પાસે સંતોષી નગરમાં રહેતા ૩૦ વર્ષનો  આકાશકુમાર હિતેશભાઇ વાઢેર  ટેલરિંગનું કામ કરતો હતો. તેના લગ્ન થયા નહતા. તે  પિતાથી અલગ સંબંધીના ઘરે આજવા રોડ પર રહેતો હતો. આજે સવારે જ તે સુરત રહેતી બહેનના ઘરે ગયો હતો. બહેને પૈસા માંગ્યા ન હોવા છતાંય તેણે  પોતાની બહેનને ૧૫ હજાર આપ્યા હતા. ત્યારબાદ તે વડોદરા આવ્યો હતો. વડોદરા આવીને તે આજવા રોડ જવાના બદલે રાજીવ નગરમાં ગયો હતો. પાડોશી પાસેથી ચાવી લઇને ઘર ખોલીને તે અંદર ગયો હતો. બપોર સુધી ભાઇનો ફોન નહીં આવતા સુરતથી બહેને ફોન કર્યો હતો.  પરંતુ, આકાશે ફોન રિસીવ નહીં કરતા પિતાને કોલ કર્યો હતો. પિતાએ રાજીવ નગરવાળા ઘરે જઇને જોયું તો દરવાજો બંધ હતો. અંદરથી  પાણીનો અવાજ આવતો હતો. લોકોની મદદથી તેમણે મકાનનો દરવાજો તોડી નાંખી અંદર જઇને જોતા પાછળની રૃમમાં આકાશે ફાંસો ખાઇ લીધો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News