પૂરપાટઝડપે જતા વાહનની ટક્કરે બાઇકચાલકનું મોત
મંજુસર ઓળખીતાનાં ઘેરથી પરત જતી વખતે અકસ્માત ઃ અજાણ્યુ વાહન ફરાર
વડોદરા, તા.30 મંજુસર-સાવલીરોડ પર પૂરપાટઝડપે જતાં અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારતાં ઘેર જતા યુવાનનું કરૃણ મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે સાવલી તાલુકાના અમરાપુરા ગામે રહેતો કિરીટ ઉર્ફે કેતન ચંદુભાઇ હરીજન મંજુસર જીઆઇડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગઇકાલે સાંજે નોકરી પરથી છૂટીને ઘેર ગયા બાદ મંજુસરમાં રહેતા ઓળખીતાના ઘેર ગયો હતો અને રાત્રે ઘેર પરત ફરતી વખતે બહુથા ગામની સીમમાં ક્રેસંટ કંપનીના ગેટ પાસે પૂરપાટઝડપે જતા અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતાં કિરીટનું મોત નિપજ્યું હતું.
આ અંગેની જાણ થતાં મૃતકના સંબંધીઓ સ્થળ અને હોસ્પિટલમાં પહોંચી ગયા હતાં. બનાવ અંગે મંજુસર પોલીસે મૃતકના સંબંધી રાવજી બબુભાઇ હરીજનની ફરિયાદના આધારે અજાણ્યા વાહન સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.