પોલીટેકનિકમાં વિદ્યાર્થીઓના સબમિશન સ્વીકારવામાં અધ્યાપકો ભેદભાવ કરે છે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકમાં વિદ્યાર્થીઓનુ સબમિશન સ્વીકારવામાં કેટલાક અધ્યાપકો ભેદભાવભરી નીતિ અપનાવી રહ્યા હોવાનો ચોંકાવનારો આરોપ એનએસયુઆઈ દ્વારા મુકવામાં આવ્યો છે.
આજે એનએસયુઆઈના શહેર પ્રમુખ તેમજ બીજા ંંકાર્યકરોએ પોલીટેકનિકના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રો.ધનેશ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી.તેમનુ કહેવુ હતુ કે, પોલીટેકનિકમાં વિદ્યાર્થીઓ માટે ૮૦ ટકા હાજરીનો નિયમ છે પણ આ નિયમનુ પાલન કરાવવામાં કેટલાક અધ્યાપકો વ્હાલા દવલાની નીતિ અપનાવી રહ્યા છે.વિદ્યાર્થીઓ જ્યારે સબમિશન આપવા માટે જાય છે ત્યારે હાજરીના નિયમને ધ્યાનમાં લેવામાં આવતો હોય છે પણ કેટલાક અધ્યાપકો પોતાના માનીતા વિદ્યાર્થીઓની હાજરી ૬૦ ટકા હોય તો પણ સબમિશન સ્વીકારી લે છે.જ્યારે કોઈ વિદ્યાર્થી ઓછી હાજરી માટે બીમારીનુ સાચુ કારણ રજૂ કરવાની સાથે સાથે ડોકટરનુ સર્ટિફિકેટ પણ રજૂ કરે તો પણ તેનુ સબમિશન સ્વીકારવામાં આવતુ નથી.વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે ,હવે તમે આવતા વર્ષે જ આવજો.આમ વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે.આવી ફરિયાદો દર વર્ષે ઉઠતી હોય છે.જોકે સત્તાધીશો કોઈ કાર્યવાહી કરતા નથી.વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી રજૂઆત બાદ ઈન્ચાર્જ પ્રિન્સિપાલે કહ્યુ હતુ કે, જે વિદ્યાર્થીઓના સબમિશન નથી સ્વીકારાયા તે વિદ્યાર્થીઓને બોલાવીને તપાસ કરવામાં આવશે અને તેમના કારણો યોગ્ય હશે તો સબમિશન સ્વીકારવામાં આવશે.