ભગવાન વિઠ્ઠલનાથજી પણ ટ્રાફીકમાં અટવાયા : વરઘોડામાં ટ્રાફિક પોલીસની ગેરહાજરી

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
ભગવાન વિઠ્ઠલનાથજી પણ ટ્રાફીકમાં અટવાયા : વરઘોડામાં ટ્રાફિક પોલીસની ગેરહાજરી 1 - image


Vadodara News : સંસ્કાર નગરી-ઉત્સવ પ્રિય વડોદરામાં આજે બેવડો ધાર્મિક માહોલ સર્જાયો છે, પરંતુ હાર્દસમાં શહેરની મધ્યમાં વિઠ્ઠલ મંદિરેથી નિયત સમયે નગર ચર્યાએ પ્રસ્થાન થયેલી પ્રભુ વિઠ્ઠલનાથજીની પાલખી પોલીસની નિષ્કાળજી અને લાપરવાહીના કારણે ટ્રાફિકમાં અટવાઈ હતી. પ્રભુ દર્શનાર્થે એકત્ર ભક્તજનો ગ્રાફિકમાં આમથી તેમ અટવાતા જણાયા હતા. માંડવી દરવાજા નજીક બેન્ડવાજા અને ઢોલ નગારા સાથે વરઘોડો પહોંચતા જ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ સમયે ટ્રાફિક પોલીસ કે શહેર પોલીસ ક્યાંય દેખાતી ન હતી. માત્રને માત્ર એક મહિલા પોલીસ જવાન ટ્રાફિક કંટ્રોલ કરવા ભારે જમાત ઉઠાવી રહેલા નજરે ચઢતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના હાર્દ સમાનમાં માંડવી વિસ્તારમાં આવેલા ભગવાનના મંદિરેથી ભારે ગામ ધૂમ પૂર્વક અને આન-બાન-શાનથી વિશાળ સમુદાયમાં ભક્તજનોની ઉપસ્થિતિમાં વિઠ્ઠલ... વિઠ્ઠલ.. વિઠ્ઠલા.., હરિઓમ વિઠ્ઠલાના નાદ સાથે ઢોલ નગારા અને બેન્ડવાજાની સુરાવલી સાથે શહેરના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં વરઘોડો માંડવી દરવાજાનો ટર્ન લઈને લેરીપુરા દરવાજા તરફ ફંટાયો હતો. પરંતુ આ ધાર્મિક માહોલ વચ્ચે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સીટી પોલીસ અને શહેર પોલીસની પણ ક્યાંય હાજરી જણાતી ન હતી. પરિણામે ચારે બાજુએ ટ્રાફિકજામ થઈ જતા વરઘોડાનો ધાર્મિક માહોલ અસ્તવ્યસ્ત થયો હતો. આવો ટ્રાફિકજામ માંડવી વિસ્તારમાં થવા છતાં નજીકમાં જ આવેલ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ફરજ પરના કોઈપણ પોલીસ જવાનના પેટનું પાણી પણ હાલ્યું ન હતું. 

પ્રતિ વર્ષ પ્રસ્થાન થતાં આ વરઘોડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત શહેર પોલીસ કમિશનર દ્વારા ગોઠવવામાં આવે છે પરંતુ કોઈક કારણોસર આજના પ્રભુના વરઘોડા દરમિયાન શહેર પોલીસ કમિશનર કે પછી અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ટ્રાફિક ડીસીપી એસીપી જેવા પોલીસ અધિકારીઓ બંદોબસ્ત બાબતે નિષ્ક્રિય કેમ રહ્યા એ બાબતે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સંવેદનશીલ ગણાતા ફતેપુરા રોડ અને માંડવી પાણીગેટ વચ્ચે વરઘોડા દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત પ્રતિ વર્ષ ગોઠવી દેવાય છે. પ્રભુના વરઘોડામાં શહેર પોલીસ કમિશનર પણ સ્વયં તૈનાત રહીને બંદોબસ્ત જાળવતા હોય છે અને તેમની સાથે ટ્રાફિક પોલીસના ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ વરઘોડામાં મોજુદ હોય છે પરંતુ આ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચક ગેરહાજરી દર્શનાર્થીઓ સહિત રાહદારીઓ અને વાહનચાલકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે વરઘોડામાં ઉપસ્થિત રહેલા વિરોધ પક્ષના પૂર્વ નેતા સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ-ભથ્થુએ પણ પોલીસની ગેરહાજરી બાબતે જાહેરમાં ટીકા કરી હતી. ટ્રાફિકમાં અટવાયેલો ભગવાનનો વરઘોડો નિયત સમયે લેરીપુરા દરવાજાથી ક્રોસ કરીને જુબેલીબાગ અમદાવાદ તરફ અને ત્યાંથી રાવપુરા-નાગરવાડા થઈને ખાસવાડી રોડથી ગહનાબાઇના મંદિરે બપોરે પહોંચ્યો હતો.


Google NewsGoogle News