નર્મદા નદીમાં વ્યાસ બેટ આસપાસ રેતી ખનન ઉપર પ્રતિબંધ

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
નર્મદા નદીમાં વ્યાસ બેટ આસપાસ રેતી ખનન ઉપર પ્રતિબંધ 1 - image


- પૌરાણિક વ્યાસ બેટ પરિસરને ખનન પ્રવૃત્તિની નુકસાનથી બચાવવા વડોદરા જિલ્લા વહીવટી તંત્રનો નિર્ણય

વડોદરા,તા.24.જાન્યુઆરી 2024,બુધવાર

શિનોર તાલુકામાં મોલેથા ગામની હદમાં આવેલા પૌરાણિક વ્યાસ બેટને કોઇ નુકસાન ના થાય એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેની આસપાસના વિસ્તારોમાં ખનન પ્રવૃત્તિ અને તેના વહન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વ્યાસ બેટ આસપાસ થતાં રેતીના ખનનના પરિણામે થતાં નુકસાનનું એસેસમેન્ટ કરવા માટે રચવામાં આવેલી સમિતિની ભલામણ બાદ કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

અનેક લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલા વ્યાસ બેટ આસપાસ ખનન પ્રવૃત્તિનું ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવા માટે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવી હતી. જેમાં ભૂસ્તરશાસ્ત્રી, સિંચાઇ, વન વિભાગ, મહેસુલ વિભાગના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમિતિએ તાજેતરમાં વ્યાસ બેટ અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલતી ખનન પ્રવૃત્તિ, વહન માર્ગો સહિતનું બારિકાઇથી નિરીક્ષણ કર્યું હતું. એ બાદ આ સમિતિ દ્વારા હકીકતલક્ષી અહેવાલ કલેક્ટરને સોંપવામાં આવ્યો હતો. 

નર્મદા નદીમાં વ્યાસ બેટ આસપાસ રેતી ખનન ઉપર પ્રતિબંધ 2 - image

આ અહેવાલમાં ખનન પ્રવૃત્તિથી વ્યાસ બેટને નુકસાનની શક્યતા દર્શાવવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, વ્યાસ બેટની ઉપર તળે અને હેઠળ તળે નર્મદા નદીમાં પ્રવાહને અસર થતાં બેટની પ્રાકૃતિક સંરચનાને નુકસાન પહોંચશે. ખાણ ખનનથી વ્યાસ બેટ વિસ્તારમાં પર્યાવરણીય નુકસાન થવાની મોટી સંભાવના છે. આવી પ્રવૃત્તિથી નદીના પટની કુદરતી પૂર સંરક્ષણ દિવાલો, સંરચનાને હાની પહોંચશે અને બેટમાં હેબિટેશનને નુકસાનકર્તા અસર પહોંચશે. ભારે વાહનોની સતત અવરજવરને કારણે ગૌચરમાં દબાણના પ્રશ્નો, જમીનની ઉપજાવતામાં અસર પહોંચશે. આ ઉપરાંત વ્યાસ બેટ પૌરાણિક, સાંસ્કૃતિક, અનેક લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલા વ્યાસેશ્વર મહાદેવના મંદિર તથા આશ્રમ પરિસરના અસ્તિત્વનો પ્રશ્ન ઉદ્દભવવાની શક્યતા સમિતિએ પોતાના અહેવાલમાં દર્શાવી હતી. 

ઉક્ત અહેવાલને ધ્યાને રાખીને કલેક્ટર શ્રી અતુલ ગોર દ્વારા વ્યાસ બેટના ઉપર તળે આવેલા શ્રી રંગ સેતુ બ્રિજ સુધી અને હેઠ તળે એક કિલોમિટર સુધી સાદી રેતી, ગ્રેવલ કે અન્ય ખનિજના ખનન અને વહન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ગુજરાત પોલીસ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ આ હુકમ જારી કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News