વડોદરાના સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી જગતપાવનદાસના આગોતરા રદ્

કિશોરી સાથે 3 વર્ષ સુધી બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાના કેસમાં જગતપાવન ફરાર છે

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
વડોદરાના સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી જગતપાવનદાસના આગોતરા રદ્ 1 - image


વડોદરા : વડોદરામાં વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી જગતપાવનદાસ સ્વામી સહિત ૩ સ્વામી સામે બે મહિના પહેલા વડોદરાની યુવતીએ બળાત્કારની ફરિયાદ નોધાવી છે. યુવતી જ્યારે ૧૫ વર્ષની હતી ત્યારે સપ્ટેમ્બર ૨૦૧૬ થી ૩૦ નવેમ્બર ૨૦૧૯ દરમિયાનના ૩ વર્ષ બળાત્કાર કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. આ કેસમાં ૫૨ વર્ષના જગતપાવન સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે.

વાડી પોલીસ હજુ સુધી જગતપાવન સ્વામી ઉપરાંત ફરિયાદમાં જેમનો ઉલ્લેખ કરાયો છે તેવા બે અન્ય સ્વામીઓ એચ.પી.સ્વામી અને કે.પી.સ્વામી સુધી પહોંચી શકી નથી. મતબલ કે ફરાર છે. દરમિયાન જગતપાવનદાસે વડોદરા કોર્ટમાં એવી દલીલો સાથે આગોતરા જામીન માટે અરજી હતી કે ફરિયાદી કિશોરી તેના પિતા સાથે મંદિરમાં આવતી હતી અને ૮ વર્ષ બાદ ફરિયાદ નોંધાવી છે જે શંકા ઉપજાવે છે.

પુરાવા માટે કિશોરી અને જગતપાવન વચ્ચેની 92 પાનાની વોટ્સએપ ચેટ રેકોર્ડ ઉપર રજૂ કરવામાંં આવી

જો કે પીડીત કિશોરી (હાલમાં યુવતી) તરફે સરકારી વકીલે એવી દલીલો કરી હતી કે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ કેસમાં જગતપાવનદાસ મુખ્ય આરોપી છે. તેની સામેના પુરતા પુરાવા છે. કિશોરી અને જગતપાવન વચ્ચેની ૯૨ પાનાની વોટ્સઅપ ચેટ રેકોર્ડ ઉપર રજૂ કરવામાં આવી છે જેમાં શારીરિક સંબંધોની વાત સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત પેનડ્રાઇવ પણ રજૂ કરવામાં આવી છે જે એફએસએલમાં મોકલવાંમાં આવી છે. ઉપરાંત આરોપી ધાર્મિક સંત હોવાથી ભોગ બનનાર ફરિયાદીના જીવને જોખમ છે અને આરોપીને વિદેશમાં સંપર્કો હોવાથી તે વિદેશ ભાગી જાય તેવી પણ શક્યતાઓ હોવાથી આગોતરા જામીન આપવા જોઇએ નહી. કોર્ટે પોલીસે રજૂ કરેલા પુરાવાઓ અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને જગતપાવનદાસના આગોતરા જામીન નામંજૂર કર્યા છે.

Google NewsGoogle News