બુલેટ ટ્રેનના ટ્રેક પર પવનની ગતિ જાણવા માટે ૧૪ સ્થળોએ એનેમોમીટર લગાવાશે
વડોદરાઃ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાના પ્રોજેકટ પર પૂરઝડપે કામ ચાલી રહ્ય છે.અમદાવાદથી મુંબઈ વચ્ચે અમુક હિસ્સામાં બુલેટ ટ્રેન દરિયા કિનારાના વિસ્તારોમાંથી પસાર થવાની છે ત્યારે પવનની ઝડપ જાણવા માટે ગુજરાતમાં નવ અને મહારાષ્ટ્રમાં ૧૪ સ્થળોએ એનેમોમીટર નામના સાધનો લગાવવામાં આવશે.આ ૧૪ સ્થળોની ઓળખ કરી લેવામાં આવશે.
બુલેટ ટ્રેન એલિવેટેડ ટ્રેક પર દોડવાની છે ત્યારે કેટલાક સ્થળોએ પવનની ગતિને પણ ગણતરીમાં લેવાની થશે.કારણકે પવનની ગતિ પણ બુલેટ ટ્રેનની કામગીરીને અસર કરી શકે છે.ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપ ઘણી વખત વધારે રહેતી હોય છે.એનેમોમીટર નામનુ સાધન ૩૬૦ ડિગ્રી ફરતુ હોય છે અને ૦ થી ૨૫૨ કિલોમીટર સુધીની પવનની ગતિ માપી શકે છે.
એનેમોમીટર પવનની ઝડપનો રીયલ ટાઈમ ડેટા પૂરો પાડશે અને આ માટે એક ઓપરેશન કંટ્રોલ સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવશે.પવનની ઝડપ ૭૨ કિલોમીટરથી ૧૩૦ કિલોમીટરની હોય તો તે પ્રમાણે બુલેટ ટ્રેનની ઝડપમાં પણ ફેરફાર કરાશે.
ગુજરાતમાં નવ સ્થળો દમણગંગા નદી, પાર નદી, નવસારી, તાપી નદી, નર્મદા નદી, ભરુચ અને વડોદરાની વચ્ચે, મહી નદી , બારેજા અને સાબરમતી નદી પર આ સાધન લગાવવામાં આવશે.જ્યારે મહારાષ્ટ્રમાં આ સાધન લગાવવા માટે દેસાઈ ખાડી, ઉલ્હાસ નદી, બાંગ્લા પાડા, વૈતરણા નદી, દહાણુ એમ પાંચ સ્થળોની પસંદગી કરવામાં આવી છે.