હત્યા અને આત્મહત્યાથી ચકચાર પત્ની અને સાસુ પર ચપ્પુથી હુમલાં બાદ પતિએ જાતે પણ ચપ્પુના ઘા માર્યા

નાનકડા ગામે બનેલી ઘટનામાં સાસુ અને પતિનું મોત ઃ પત્નીને ગંભીર હાલતમાં દવાખાને ખસેડાઇ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
હત્યા અને આત્મહત્યાથી ચકચાર  પત્ની અને સાસુ પર ચપ્પુથી હુમલાં બાદ પતિએ જાતે પણ ચપ્પુના ઘા માર્યા 1 - image

પોર તા.૨૦ વડોદરા જિલ્લાના પોર પાસેના સરાર ગામે સાસરીમાં આવેલા જમાઇએ પત્ની તથા સાસુ પર ચપ્પુના ઉપરાછાપરી ઘા માર્યા હતા. આ બનાવમાં સાસુનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે તેની પત્નીને ગંભીર હાલતમાં એસએસજીમાં ખસેડાઇ હતી. જમાઇએ જાતે પણ પોતાના શરીર પર ચપ્પુના ઘા ઝિંકતા તેનું પણ મોત થયુ હતું.

પોર નજીક આવેલા સરાર ગામમાં રહેતી મનિષા વસાવાના લગ્ન અંકલેશ્વર તાલુકાના એખ ગામે રહેતા જિગ્નેશ મહેશ પટેલ સાથે તાજેતરમાં થયા હતા. નવા નવા લગ્ન થયા હોય દંપતીને સંતાન ન હતું. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી મનિષા સાસરીમાંથી પોતાના પિયર સરાર ગામે આવી હતી. આજે મનિષાના પિતા તથા ભાઇ કામ પર ગયા હતા અને ઘરે મનિષા તથા તેની માતા સુધાબેન વસાવા હાજર હતા. 

દરમિયાન જિગ્નેશ પટેલ સરાર ગામે સાસરીમાં આવ્યો હતો અને તેની પત્ની તથા સાસુ સાથે બોલાચાલી થઇ હતી.   ઉશ્કેરાયેલા જિગ્નેશ પટેલ તેની પત્ની તથા સાસુ પર ચપ્પુના ઉપરાછાપરી ઘા મારવા લાગ્યો હતો. સુધાબેનને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે મનિષા લોહીલુહાણ હાલતમાં ઘરમાં ફસડાઇ પડી હતી. ત્યારબાદ જિગ્નેશ પટેલે જાતે પણ ઘરની બહાર નીકળીને ફળિયામાં વચ્ચે ઉભા રહીને પોતાના પર ચપ્પુના ઘા મારવા લાગ્યો હતો. જેથી પાડોશીઓને ઝઘડા અંગે જાણ થઇ હતી. 

ગંભીર ઇજાના કારણે જિગ્નેશ પટેલનું પણ ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત મનિષાને એસએસજી હોસ્પિટલમાં ખસેડી હતી. વરણામા પોલીસને જાણ થતા તુરંત સ્થળ પર દોડી આવી હાલમાં મર્ડરનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે મનિષાએ દોઢ વર્ષ પહેલાં જ જિગ્નેશ સામે બીજા લગ્ન કર્યા હતાં. આ લગ્નગાળા દરમિયાન નાના કામ બાબતે પતિ અને પત્ની વચ્ચે વારંવાર ખટરાગ થતો હતો અને આજે તેનો કરૃણ અંજામ આવ્યો હતો.




Google NewsGoogle News