મણિનગરથી મહેમદાવાદ સુધી એએમટીએસની બસ શરૂ કરાઈ
૨૭.૪૩ કિ.મી. અંતરની બે બસો ૧૬ ટ્રીપો મારશે
કનીજ, રાસકા, સણસોલી સહિતના ૧૪થી વધુ ગામના લોકોને સિટી બસ સુવિધાનો લાભ મળશે
નડિયાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને મણીનગરથી સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદની એએમટીએસ બસ સેવા તા.૧૪મીથી શરૂ કરવામાં આવી છે. આ બસ સુવિધા શરૂ થતા મહેમદાવાદ તાલુકાના મુસાફરોમાં આનંદની લાગણી વ્યાપી છે.
મહેમદાવાદ ખાતે સિદ્ધિ વિનાયક મંદિર આવેલું હોવાથી અમદાવાદ સહિત ઠેર ઠેરથી યાત્રિકો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે અમદાવાદના મુસાફરોને મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિરના દર્શનનો લાભ મળે તે માટે એએમટીએસે મણિનગર ટમનસથી મહેમદાવાદની રૂટ નંબર ૧૫/૩ બસને આજે લીલી જંડી આપી પ્રારંભ કરાયો હતો. અમદાવાદના મણીનગરથી મહેમદાવાદ સુધી ૨૭.૪૩ કિલોમીટર અંતરની બે એએમટીએસ બસો દોડાવવામાં આવશે. જે દિવસ દરમિયાન મણીનગરથી શ્યામાપ્રસાદ મુખરજી ચોક, જશોદાનગર પાટિયા, ત્રિકમપુરા પાટિયા, પી.આર.એન્ટરપ્રાઈઝ, હનુમાનજી મંદિર, શ્રદ્ધા પાયોનીયર, ડીપીએસ સ્કૂલ, ખોડિયાર ધામ, રાસકા પાટિયા, કનીજ પાટિયા, નેનપૂર ચોકડી, ભૂમાપુરા, ધોળેશ્વર મહાદેવ, સણસોલી પાટીયા થઈ સિદ્ધિવિનાયક મંદિર, મહેમદાવાદ સુધી ૧૬ ટ્રીપો દોડાવવામાં આવશે. અગાઉ એએમટીએસની બસ અધવચ્ચેથી પરત જતી હતી. આ બસને સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદ સુધી લંબાવવામાં આવતા તાલુકાના મુસાફરોમાં આનંદની લાગણી વ્યાપી છે.