મિલકત વેરાના બિલોમાં સુધારા હવે સ્થળ ઉપર જ કરી દેવાશે

Updated: Nov 3rd, 2021


Google NewsGoogle News
મિલકત વેરાના બિલોમાં સુધારા હવે સ્થળ ઉપર જ કરી દેવાશે 1 - image


ગાંધીનગર મહાનગરપાલિકાનું નવુ અભિયાન : તા.૯ નવેમ્બરથી દર મંગળ અને ગુરૃવારે કોર્પોરેશનની કચેરીએ સુધારા વધારા માટેની અરજીઓ સ્વીકારાશે

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાલ રહેણાંક અને કોમર્શિયલ મળી ૬પ હજાર જેટલી મિલકતો પાસેથી વેરો ઉઘરાવવામાં આવી રહયો છે ત્યારે વેરાના બિલોમાં નામ ટ્રાન્સફર, એડ્રેસમાં સુધારો તેમજ નામમાં ફેરફાર સહિતની ક્ષતિઓ જોવા મળતી હોય છે ત્યારે કોર્પોરેશને અરજી મળ્યાની સાથે તુરંત જ સ્થળ ઉપર તેનો નિકાલ કરવાનું નક્કી કર્યું છે અને આ માટે આગામી સપ્તાહથી દર મંગળ અને ગુરૃવારે અરજી સ્વીકારીને ફેરફાર કરી આપવામાં આવશે.   

રાજયના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકા વર્ષ ર૦૧૧માં અસ્તિત્વમાં આવ્યા બાદ અહીં રહેણાંક અને કોમર્શિયલ મિલકતનો સર્વે કરીને તેમની પાસેથી મિલકતવેરો વસુલવામાં આવતો હતો. જો કે આ વેરાના બિલો તૈયાર કરવાની જવાબદારી એજન્સીને સોંપવામાં આવી હતી. જેમાં નામ, સરનામાં સહિતના મુદ્દાઓમાં નાની મોટી ક્ષતિઓ જોવા મળી હતી. જે માટે મિલકત ધારકે કોર્પોરેશનની કચેરીએ અરજી કરવી પડતી હતી ત્યારબાદ ઘણા સમય પછી તેમાં સુધારો થતો હતો તો ઘણા કિસ્સામાં મિલકત વેચાણ બાદ નામ ટ્રાન્સફર માટે પણ લાંબી પ્રક્રિયા થતી હતી. જે તમામ બાબતોમાંથી મિલકતધારકોને છુટકારો આપવા માટે હવે જરૃરી આધાર પુરાવા સાથે અરજી કરવાની સાથે જ ત્વરિત બિલમાં સુધારા કરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે મિલકત ધારકે સંપૂર્ણ વેરો ભરેલો હશે તો જ આ પ્રકારની અરજીઓ સ્વીકારીને સુધારા કરી અપાશે તો કોર્પોરેશન વિસ્તારમાં નવા ભળેલા ગ્રામ્ય વિસ્તાર અને પાલિકામાં પણ નામ ટ્રાન્સફર કરવા માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે તેમાં પણ બિલો ભરાયા હશે તો જ પ્રક્રિયા હાથ ધરાશે.  આગામી સપ્તાહ તા.૯મી નવેમ્બરથી દર મંગળવાર અને ગુરૃવારે કોર્પોરેશનની કચેરી ખાતે આ સુધારા વધારા માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે.


Google NewsGoogle News