નર્મદા ડેમના તમામ ગેટ ૧૭ દિવસ બાદ બંધ કરાયા
તા.૧૬ સપ્ટેમ્બરે ૨૩ ગેટ ખોલીને નદીમાં ૨૦ લાખ ક્યુસેક પાણી છોડતા ઘોડાપૂર આવ્યું હતું
રાજપીપળા,નર્મદા ડેમના તમામ ગેટ ૧૭ દિવસ બાદ બંધ કરવામાં આવતા નદીમાં ઠલવાતું પાણી બંધ થઈ ગયું છે. હાલ ડેમની સપાટી ૧૩૮.૦૬ મીટર છે. ડેમમાં પાણીની આવક ૫૬૬૫૪ ક્યસેક છે.
ભારે વરસાદને પગલે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી પાણીની ભરપૂર આવક થતા સરદાર સરોવરમાં ઝડપભેર પાણીની સપાટી વધતા નર્મદા ડેમના ૧૦ ગેટ તા.૧૬ સપ્ટેમ્બરે ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ બપોરે ૧૨ વાગ્યે બીજા ૧૦ ગેટ ખોલવા પડયા હતા અને સાંજ સુધીમાં ૨૩ ગેટ ખોલી નાખતા નદીમાં ૨૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પરિણામે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેથી નર્મદા, વડોદરા અને ભરૃચ જિલ્લાના સંખ્યાબંધ ગામોમાં પાણી ફરી વળ્યાં હતા. ગામોમાં પાણી ભરાવાના કારણે ગ્રામજનોને મોટાપાયે નુકસાન થયું હતું. ઘણા ગામોમાં તો ઘરો અને ઘરવખરી પણ તણાઈ ગઈ હતી. ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોને કરોડો રૃપિયાનું નુકસાન થયું છે. જો કે રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું પણ તેનાથી ખેડૂતો નારાજ થયા છે. ગેટ બંધ કર્યા બાદ આરબીપીએચમાંથી ૪૨ હજાર ક્યુસેક પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે.