યુનિ.માં બીબીએની પ્રવેશ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના માર્કસ જાહેર ના કરાયા

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
યુનિ.માં બીબીએની પ્રવેશ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના માર્કસ જાહેર ના કરાયા 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના  પ્રતિષ્ઠિત કોર્સ પૈકીના એક બીબીએમાં પ્રવેશ માટે તાજેતરમાં પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી.આ પ્રવેશ પરીક્ષા બાદ  ગુ્રપ ડિસ્કશન અને ઈન્ટરવ્યૂ માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓનુ લિસ્ટ જાહેર થયા બાદ બીબીએમાં પ્રવેશ કૌભાંડની આશંકા વ્યક્ત થઈ રહી છે.

કારણકે આ વખતે પણ સત્તાધીશોએ  વિદ્યાર્થીઓના પ્રવેશ પરીક્ષાના માર્કસ જાહેર નથી કર્યા અને આગળના રાઉન્ડ માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓના માત્ર બેઠકો નંબરોનુ જ લિસ્ટ જાહેર કરી દીધુ છે.ગત વર્ષે પણ સત્તાધીશોએ વિદ્યાર્થીઓના માર્ક જાહેર નહોતા કર્યા અને તેને લઈને સત્તાધીશો પર ભારે માછલા ધોવાયા હતા. જે તે સમયે સિન્ડિકેટ સભ્યોએ પણ ઉહાપોહ કર્યો હતો.આમ છતા તે વખતે પણ સત્તાધીશોએ  માર્ક જાહેર નહોતા કર્યા.

આ વર્ષે પણ આ જ સ્થિતિનુ પુનરાવર્તન થયુ છે.ફેકલ્ટીના પૂર્વ એફઆર નિખિલ સોલંકીનુ કહેવુ છે કે, યુનિવર્સિટીમાં એલએલબી, એમએસડબલ્યુ જેવી ફેકલ્ટીઓમાં પ્રવેશ પરીક્ષા લેવાયા બાદ વિદ્યાર્થીઓના માર્કસ સાથેનુ લિસ્ટ જાહેર કરાયુ છે અને બીબીએમાં જ  વિદ્યાર્થીઓના માર્કસ જાહેર કરાતા નથી.જે વિદ્યાર્થી આગળના રાઉન્ડ માટે પસંદ નથી થયા તેમને તો પોતે કેટલા માર્કસ લાવ્યા છે તેની ખબર પડવાની નથી અને પસંદ થયેલા વિદ્યાર્થીઓને પણ જાણકારી નહીં મળે.બીબીએની પરીક્ષાના માર્કસ જાહેર નહીં થવાના કારણે બીબીએમાં પ્રવેશ માટે કૌભાંડ ચાલી રહ્યુ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.સત્તાધીશોએ પારદર્શિતા બતાવીને તાત્કાલિક વિદ્યાર્થીઓના માર્કસ પણ જાહેર કરવાની જરુર છે.નહીંતર આગામી વર્ષોમાં યુનિવર્સિટીનો આ પ્રતિષ્ઠિત કોર્સ પોતાની વિશ્વસનિયતા ગુમાવી દેશે.ઉલ્લેખનીય છે કે, આ વખતે ૧૬૦૦ જેટલા વિદ્યાર્થીઓેએ બીબીએની પ્રવેશ પરીક્ષા આપી હતી.

વિદ્યાર્થીઓના આક્ષેપ બાદ આ મુદ્દે વારંવાર પ્રયત્ન પછી પણ કોમર્સ ફેકલ્ટીના ડીનનો સંપર્ક થઈ શક્યો નહોતો.

ે બે વાગ્યાની જગ્યાએ સાંજે સાત વાગ્યે લિસ્ટ જાહેર કરાયુ

વિદ્યાર્થીઓને પૂરતો સમય નથી અપાયો, આજે ઈન્ટરવ્યૂ પણ લેવાશે

ફેકલ્ટીના પૂર્વ સેનેટ સભ્ય અમર ઢોમસેએ કહ્યુ હતુ કે, બપોરે બે વાગ્યે લિસ્ટ જાહેર થવાનુ હતુ પણ તેની જગ્યાએ સાંજે સાત વાગ્યે વિદ્યાર્થીઓનુ લિસ્ટ બહાર પાડવામાં આવ્યુ હતુ.સત્તાધીશોએ વહાલા દવલાની નીતિ અપનાવીને માનીતાઓના વિદ્યાર્થીઓને ગોઠવી દેવા માટે ખેલ પાડયો છે.ઉપરાંત લિસ્ટ બહાર પડયાના ગણતરીના કલાકો બાદ આવતીકાલે, રવિવારે જ ઈન્ટરવ્યૂ અને ગુ્રપ ડિસ્કશનનુ આયોજન કરી દેવાયુ છે.તેના કારણે ઘણા વિદ્યાર્થીઓ પહોંચી પણ ના શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.વિદ્યાર્થીઓને પૂરતો સમય આપ્યા વગર ગુ્રપ ડિસ્ક્શન અને ઈન્ટરવ્યૂ ગોઠવી દેવાના નિર્ણયે પણ સંખ્યાબંધ સવાલો ઉભા કર્યા છે.


Google NewsGoogle News