ચૂંટણીમાં શાંતિ ડોહળી શકે તેવા 7500 તત્વો સામે કાર્યવાહી

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
ચૂંટણીમાં શાંતિ ડોહળી શકે તેવા 7500 તત્વો સામે કાર્યવાહી 1 - image


જિલ્લામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને

પ્રવેશદ્વારો ઉપર ચેકપોસ્ટમાં વાહનોની તપાસઃઅત્યાર સુધી ૭૮૭ પ્રોહિબીશનના ગુના દાખલ કરવામાં આવ્યા

ગાંધીનગર :  ગાંધીનગર લોકસભા ચૂંટણી શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાંનો દૌર શરૃ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ચૂંટણી જાહેર થઇ ત્યારથી અત્યાર સુધી સાડા સાત હજારથી વધુ તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એટલુ જ નહીં, પ્રોહિબીશન ડ્રાઇવ અતંર્ગત દેશી-વિદેશી દારૃના ૭૮૭થી વધુ ગુના પણ નોંધવામાં આવ્યા છે અને ચૂંટણી સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવનાર છે.

લોકસભાની ચૂંટણી અંતર્ગત આદર્શ આચારસંહિતાનું પાલન કરવા માટે ચૂંટણી તંત્રની સાથે પોલીસ પણ મેદાન ઉતરી આવી છે ત્યારે આગામી સાત મેના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની છે ત્યારે ચૂંટણી સમયે કોઇ અનિશ્ચનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા અટકાયતી પગલાંનો દૌર શરૃ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આચારસંહિતા લાગુ થઇ ત્યારથી અત્યાર સુધી અલગ અલગ પોલીસ મથકોને કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે આજદિન સુધીમાં પોલીસે ચૂંટણીમાં શાંતિ ડોહળી શકે અને અગાઉ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય તેવા સાડા સાત હજાર વ્યક્તિઓની અટકાયત કરીને જામીન લેવડાવ્યા છે.એટલુ જ નહીં, ચૂંટણી ટાળે ગંભીર ગુનાઓમાં સંકળાયેલા લોકોને તડીપાર કરવા માટેના પગલાં પણ ભરવામાં આવશે. ચૂંટણીમાં ખાસ કરીને દેશી વિદેશી દારૃની હેરાફેરી વધતી હોય છે

પોલીસ દ્વારા જિલ્લામાં અત્યાર સુધી ૭૮૭ જેટલા પ્રોહિબીશનના ગુના દાખલ કરીને લીસ્ટેડ બુટલેગરોને પાસા હેઠળ ધકેલવાની કામગીરી પણ કરવામાં આવનાર છે. તો જિલ્લામાં પોલીસ દ્વારા ઉભી કરવામાં આવેલી ૧૩ જેટલી ચેકપોસ્ટ ઉપર પણ અત્યાર સુધીમાં ૧૨ હજાર જેટલા વાહનો તપાસવામાં આવ્યા છે. જેમ જેમ ચૂટંણી નજીક આવશે તેમ તેમ આ ચેકપોસ્ટને વધુ કડક બનાવવામાં આવશે.

૧૦૮૮માંથી ૧૦૨૬ પરવાનેદાર હથિયારો તંત્રએ જમા લઈ લીધા

લોકસભાની ચૂંટણીને પગલે જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ગાંધીનગર જિલ્લામાં નિર્ભય અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે જિલ્લામાં આચારસંહિતા લાગુ થઈ ગયાથી અત્યાર સુધીમાં ૧,૦૮૮માંથી ૧,૦૨૬ જેટલા પરવાનેદાર હથિયારો જમા કરાવવામાં આવ્યા છે.જેમાં ગાંધીનગરના સેક્ટર-૨૧ અને સે-૭માં સૌથી વધુ પરવાનેદાર હથિયારો જમા લેવામાં આવ્યા છે. તો શાંતિપુર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન કરવા માટે પોલીસ દ્વારા અર્ધલશ્કરી દળો સાથે અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ પણ યોજવામાં આવી રહી છે.


Google NewsGoogle News