અમદાવાદ લઠ્ઠાકાંડનો આરોપી જેલમાંથી છૂટીને ચોર બની ગયો

અમદાવાદના યોગેન્દ્રસિંહને ભોપાલ, ઉજ્જૈન પોલીસ પણ પકડયો હતો ઃ ત્રણ ચોરીના ભેદ ખૂલ્યા

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
અમદાવાદ લઠ્ઠાકાંડનો આરોપી જેલમાંથી છૂટીને ચોર બની ગયો 1 - image

વડોદરા, તા.10 અમદાવાદના લઠ્ઠાકાંડમાં ૧૦ વર્ષની સજા બાદ આર્થિક સંકળામણમાં આવી ગયેલા અને જેલમાંથી છૂટી ચોરીના ગુનામાં ઝંપલાવનાર રીઢા ચોરને રેલવે પોલસે ઝડપી પાડયો હતો.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા રેલવે સ્ટેશન તેમજ અન્ય રેલવે સ્ટેશનો પર થયેલી મોટી રકમની ચોરીની તપાસ દરમિયાન રેલવે એલસીબીને યોગેન્દ્રસિંહ ઉર્ફે દદુ કિશોરસિંહ સિસોદીયાની હરકતો રેલવે સ્ટેશનો પર શંકાસ્પદ જણાઇ હતી જેના પગલે રેલવે પોલીસે તે ફરી વડોદરા આવતાં જ ઝડપી પાડયો હતો તેની ઝીણવટભરી પૂછપરછમાં વડોદરા રેલવે સ્ટેશન પર ગત વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન ટ્રેનમાં પ્રવાસ કરતી એક મહિલાના રૃા.૨.૭૦ લાખ કિંમતના સામાનની ચોરી તેમજ અન્ય ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે તેની પાસેથી સોનાની રણી, મોબાઇલ ફોન મળી કુલ રૃા.૮.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વર્ષ-૨૦૦૯માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં દેશી દારૃના સપ્લાયર તરીકે યોગેન્દ્રસિંહનું નામ ખૂલતા તેની ધરપકડ બાદ તેને ૧૦ વર્ષની સજા ફટકારાતા તે જેલમાં  હતો. વર્ષ-૨૦૧૭માં પેરોલ મેળવી તે ફરાર થઇ ગયો હતો અને ફરીથી ઝડપાયા બાદ તેને બાકીની સજા ભોગવી વર્ષ-૨૦૨૧માં જેલમાંથી છૂટયો હતો.

બાદમાં તેણે દારૃના ધંધામાં ઝંપલાવવાના  બદલે રેલવેના પ્રવાસીઓની માલમત્તા ચોરી કરવાનું નક્કી કર્યું હતું અને મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનોના એસી અને રિઝર્વ કોચમાં પ્રવાસ કરતી મહિલા પ્રવાસીઓનો સામાન તફડાવતો હતો. મૂળ મધ્યપ્રદેશનો વતની પરંતુ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલો યોગેન્દ્રસિંહ છારા ગેંગના સભ્ય તરીકે પણ ઓળખાય છે. તે અગાઉ ટ્રેનોમાં ચોરી કરતાં મધ્યપ્રદેશના ભોપાલ, ઉજ્જૈન અને અમદાવાદ રેલવેમાં ઝડપાયો છે.




Google NewsGoogle News