સગીરાનું અપહરણ અને બળાત્કાર કેસમાં આરોપીને ત્રણ વર્ષની કેદ

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
સગીરાનું અપહરણ અને બળાત્કાર કેસમાં  આરોપીને ત્રણ વર્ષની કેદ 1 - image


ગાંધીનગરના સેક્ટર-૨૮/૨૯ પાસે રહેતી

સરકારી બંધ મકાનમાં લઈ જઈને કૃત્ય કર્યું : ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો : આરોપીને ચાર હજારનો દંડ

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર ૨૮ ૨૯ પાસેથી સગીરાનુ અપહરણ કરીને નજીકના સરકારી બંધ મકાનમાં લઈ જઈ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.જે સંદર્ભે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે મૂળ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના રાણીસર ગામના વતની યુવાન લાખીયાર જાનમહંમદ ભટ્ટી અને જીઇબી કોલોની પાસે છાપરામાં રહેતા તેના મિત્ર દ્વારા ગત ૨૦ સપ્ટેમ્બરના રોજ સેક્ટર ૨૮ ૨૯ પાસેથી બાઈક ઉપર સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સેક્ટર ૨૯ ના સરકારી બંધ મકાનમાં લઈ જઈને લાખીયાર પટ્ટી દ્વારા આ સગીરા ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો ત્યારબાદ તેણીને મહેસાણા ખાતે પણ લઈ જવામાં આવી હતી જે સંદર્ભે આ બંને આરોપીઓ સામે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં યુવાન સામે પોકસો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 જે કેસ જે કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા દ્વારા ભોગ બનનાર સગીરા અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી . ત્યારબાદ વકીલે રજૂઆત કરી હતી કે, ભોગ બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. જેના પગલે આરોપીને કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી લાખીયાર જાનમહંમદ ભટ્ટીને બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ હેઠળ ત્રણ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને ૪ હજાર રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જ્યારે તેના મિત્રને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News