વૃધ્ધ દંપતીની હત્યા માત્ર ૩ હજારની ઉઘરાણીમાં કરનારની ધરપકડ
મૃતક દ્વારા પૈસાની ઉઘરાણી કરી વારંવાર ઝઘડો કરતાં ફતેપુરાના અરવિંદે દંપતીની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી
પાદરા તા.૨૫ પાદરા તાલુકાના ગણપતપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી વૃદ્ધ દંપતીની હત્યા કરેલી લાશ મળ્યા બાદ તેનો ભેદ ૧૨માં દિવસે ઉકેલી જિલ્લા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. મૃતક રમણભાઈ સોલંકીએ વ્યાજે આપેલા માત્ર રૃા.૩ હજારની ઉઘરાણીમાં થયેલા ઝઘડાની અદાવત રાખી દંપતીની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે ફતેપુરા કેનાલ નજીક રહેતા હત્યારા અરવિંદ ચૌહાણની ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે કચરો વીણીને ગુજરાન ચલાવતા વૃદ્ધ દંપતી રમણભાઈ સોલંકી અને ધનીબેન ઉર્ફે ગગીબેન ગણપતપુરા ગામની કેનાલ નજીક ઝૂંપડું બાંધીને રહેતા હતાં. ૧૨ દિવસ અગાઉ બન્નેની હત્યા કરી લાશને ગોદડીમાં લપેટીને કેનાલમાં ફેકી દેવામાં આવી હતી. રહસ્યમય ડબલ મર્ડરનો ગુનો પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ તેનો ભેદ ઉકેલવા માટે એલસીબી, એસઓજી સહિત પોલીસની ટીમો કામે લાગી હતી.
પોલીસે અનેક મુદ્દાઓ પર તપાસ કરતાં મૃતક રમણ સોલંકીએ ફતેપુરા જાસપુર ગામના અરવિંદ ચીમનભાઇ ચૌહાણને રૃ.૩ હજાર વ્યાજે આપ્યા હતા આ પૈસાની રમણ સોલંકી વારંવાર ઉઘરાણી કરતો હતો, અને પૈસાની લેતીદેતી બાબતે અગાઉ અરવિંદ ચૌહાણ અને રમણ સોલંકી વચ્ચે તકરાર પણ થઈ હતી. જેની અદાવત રાખીને અરવિંદ ચૌહાણે રાત્રે ઊંધી ગયેલા દંપતીને ધારીયાના ધા ઝીકીને મોતને ઘાટ ઉતારી લાશને ગોદડીમાં વીંટીને કેનાલમાં ફેંકી હતી.