વડોદરામાં યાકુતપુરા જવાના રસ્તે ટુ વ્હીલર અને કાર વચ્ચે અકસ્માત બાદ ઉગ્ર બોલાચાલી : હુમલો

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
વડોદરામાં યાકુતપુરા જવાના રસ્તે ટુ વ્હીલર અને કાર વચ્ચે અકસ્માત બાદ ઉગ્ર બોલાચાલી : હુમલો 1 - image

image : Freepik

વડોદરા,તા.16 માર્ચ 2024,શનિવાર

વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે ટુ વ્હીલર અને કાર ચાલક વચ્ચે અકસ્માત થયા બાદ સ્થિતી વણસી હતી. જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ટોળું એકત્ર થયું હતું. જેને લઇને મોડી રાત્રે ડીસીપી સહિતનો સ્ટાફ દોડતો થયો હતો. બંને વાહન ચાલકોની અટકાયત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાય તે માટે પોલીસ કાર્યરત હોય છે. હાલ લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની હોવાથી શહેરમાં શાંતિ અને સલામતીનો માહોલ જળવાય તે માટે તાજેતરમાં બીએસએફની ટુકડી દ્વારા પણ ફૂટ માર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. તેવામાં ગતરાત્રે શહેરના કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશન વચ્ચેથી યાકુતપુરા જવાના રસ્તે ટુ વ્હીરલ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જોતજોતામાં મોડી રાત્રે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. તો બીજી તરફ પોલીસને જાણ થતા જ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થિતી ગણતરીની સમયમાં જ થાળે પાડી હતી. બંને વાહન ચાલકોની પોલીસ મથક લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ડીસીપી પન્ના મોમાયા જણાવે છે કે, કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશનની વચ્ચે યાકુતપુરા જવાના રસ્તે ટુ વ્હીલર ચાલક રાહીલ અને કાર ચાલક રણવીરસિંગ અને મોનું વચ્ચે અકસ્માત થયો હતો. બોલાચાલી થઇ હતી. જે વાતે ઉગ્રસ્વરૂપ ધારણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

ઉપરોક્ત મામલે કારમાંથી હથિયાર જેવું કાઢી અન્ય વાહન ચાલકને મારવા અંગેની અટકળોને પોલીસે રદીયો આપ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


Google NewsGoogle News