વાહને ટક્કર મારતાં નોકરી પરથી ઘેર જતાં આધેડનું મોત

અકસ્માત બાદ વાહન લઇને ચાલક ફરાર થઇ જતાં શોધખોળ

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
વાહને ટક્કર મારતાં નોકરી પરથી ઘેર જતાં આધેડનું મોત 1 - image

વડોદરા, તા.7 વડોદરા નજીક કરાલી ગામ પાસે નવા બ્રિજ પર પૂરપાટઝડપે જતા એક વાહને ગઇરાત્રે નોકરી પરથી ઘેર જતાં આધેડને અટફેટમાં લેતાં તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા તાલુકાના નવીકરાલી ગામે લીમડીવાળા ફળિયામાં રહેતા અરવિંદ અંબાલાલ ચૌહાણ (ઉ.વ.૫૫) ગઇકાલે મકરપુરા જીઆઇડીસીમાં નોકરી પર ગયા હતાં અને સાંજે નોકરી પરથી છૂટીને ઇંટોલા રેલવે સ્ટેશન પર ટ્રેન દ્વારા આવ્યા બાદ તેઓ રેલવે સ્ટેશન પર મૂકેલી સાઇકલ લઇને ઘેર જતા  હતાં.

તેઓ પોતાના ગામ પાસે આવી ગયા  હતા અને નવા બંધાયેલા બ્રિજ પરથી પસાર થતાં હતા ત્યારે પૂરપાટઝડપે જતાં અજાણ્યા વાહને સાઇકલને જોરદાર ટક્કર મારતાં અરવિંદભાઇ પર અકસ્માત કરનાર વાહનનું વ્હિલ ફરી વળતાં આંતરડા બહાર આવી ગયા હતા અને ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું  હતું. બનાવ અંગે વરણામા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News