બિલેશ્વરપુરા પાસે આઈશર ટ્રક પલટી ખાઈ જતા આધેડનું મોત
Updated: Jun 18th, 2024
ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક હાઈવેની સાઈડમાં ઉતરી પલટી મારી ગઇ
બિલેશ્વરપુરા હાઇવે પર પાટણના અંબાલાલભાઈ નામના આધેડ વાહનની
રાહ જોઈને ઉભા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતી આઈશર ટ્રક અચાનક પલટી ખાઈ ગઇ હતી.
પલટી ખાઈને ટ્રક અંબાલાલભાઈ પર પડયો હતો જેને કારણે તેઓ ટ્રક નીચે દબાઈ ગયા હતા.
અકસ્માત થતાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આધેડને બહાર કાઢવાની કવાયત હાથ
ધરી હતી. જોકે ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.
અમદાવાદ મહેસાણા હાઇવે પર છાસવારે અકસ્માતો સર્જાતા રહે છે. બે દિવસ અગાઉ રાજપુર હાઈવે પર અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ બાદ બિલેશ્વરપુરા ખાતે ચાલકે કાબુ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. આ હાઈવે સાંકડો પડતો હોવાથી વાહનચાલકોને પારાવાર તકલીફનો સામનો કરવો પડે છે. બિલેશ્વરપુરા પાસે અકસ્માત થતાં ટ્રાફિકજામ પણ સર્જાઈ ગયો હતો. જેને પગલે ટોલ ટેક્સ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિકજામ હળવો કરાવી લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી.