પતિથી અલગ રહેતી પરિણીતાનો ગળા ફાંસો ખાઇને આપઘાત
મારા મોત માટે કોઇ જવાબદાર નથી, કોઇને હેરાન ના કરતા : અંતિમ ચિઠ્ઠી
,પતિ સાથે અણબનાવ થતા સંતાનો સાથે એકલી રહેતી પરિણીતાએ ગઇકાલે ઘરે દુપટ્ટા વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, મારા મોત માટે કોઇ જવાબદાર નથી. કોઇને હેરાન ના કરતા. મકરપુરા પોલીસે ચિઠ્ઠી કબજે લઇ તપાસ શરૃ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તરસાલી બાયપાસ પાસે સર્વોત્તમ હોટલની પાછળ આકૃતિ હાઇટ્સમાં રહેતા ૩૩ વર્ષના નિકીતાબેન રજનીકાંત પ્રજાપતિને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પતિ સાથે અણબનાવ થતા વર્ષ - ૨૦૧૯થી તેઓ સંતાનો સાથે એકલા રહે છે. અને ઘર પાસે જ સ્ટેશનરીની દુકાન ચલાવે છે. ગઇકાલે બપોરે સંતાનો બીજા રૃમમાં હતા. તે સમયે તેમણે ઘરે પંખા પર દુપટ્ટા વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. થોડા સમય પછી દીકરાએ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, મમ્મીએ દરવાજો નહીં ખોલતા પુત્રે પિતાને જાણ કરી હતી. પિતાએ આવીને દરવજો તોડીને જોયું તો નિકીતાબેન ફાંસો ખાધેલી હાલતમાં હતા. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એન.વી.નાઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસને નિકીતાબેને લખેલી બે ચિઠ્ઠી મળી આવી છે. એક ચિઠ્ઠી તેમણે માતા - પિતા તથા બીજી ચિઠ્ઠી સંતાનોના નામે લખી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, આ પગલું જાતે ભરી રહી છું. તેના માટે કોઇ જવાબદાર નથી. કોઇને હેરાન ના કરતા. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.